વાંકલ : માંગરોળ તાલુકાના ઘોડબાર ગામની સીમમાં ઝંખવાવથી ઘોડબાર જતા જાહેર માર્ગ પર બે બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાઈક ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘોડબાર ગામે રહેતા સમુભાઈ લાલજીભાઈ ચૌધરી (ઉ.વ. 57) ગતરોજ બપોરે અઢી વાગ્યાના સુમારે પોતાના ખેતરેથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ-05-BN-8925) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઘોડબાર ગામની સીમમાં સામેથી આવી રહેલા તેમના જ ગામના વૈભવ રવિન્દ્રભાઈ ચૌધરી પોતાની મોટરસાયકલ (નંબર GJ-26-AF-3077) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા સમુભાઈની બાઈક સાથે જોરદાર અથડામણ સર્જાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે સમુભાઈને હાથ, પગ, છાતી તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં તેમના નાના પુત્ર હીરેન્દ્રભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પિતાને સારવાર અર્થે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ અકસ્માત સર્જનાર વૈભવ ચૌધરીને પણ માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સમયે મૃતકનો મોટો પુત્ર મેહુલ ચૌધરી નેત્રંગ તાલુકાના મૌઝા ગામે મજૂરી કામે ગયો હતો. નાના ભાઈનો ફોન મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં પિતાના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર મેહુલ ચૌધરીની ફરિયાદના આધારે ઝંખવાવ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વૈભવ રવિન્દ્રભાઈ ચૌધરી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
