ભરૂચ શહેરમાં જીવદયા પ્રેમીઓ અને ગૌસેવકોએ રાત્રિના સમયે બે અલગ-અલગ સ્થળોએ પહોંચીને ગૌમાતાની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રાત્રે આશરે 9:02 વાગ્યે જીવદયા પ્રેમી પ્રતિકભાઈ સુખડિયાએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને ફોન કરીને મીરા શોપિંગ સેન્ટર સામે એક ગાયની ડિલિવરી દરમિયાન ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી સવારે સારવાર માટે આવવાનું નક્કી થયું હતું.
તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હિરેન શાહને સંજયભાઈ રાણા, જે પાનનો ગલ્લો ચલાવે છે, તેમણે બૂમ પાડી રોક્યા અને ગાયની સ્થિતિ બતાવી હતી. ગાયનું ગર્ભાશય બહાર નીકળી ગયેલું જોઈ પરિસ્થિતિ ગંભીર હોવાનું સ્પષ્ટ થયું હતું. આ જાણ થતા અનેક ગૌપ્રેમીઓ અને ગૌસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા.
ડોક્ટર ઉપલબ્ધ કરાવવા માટે તમામે ભારે પ્રયત્નો કર્યા, પરંતુ મોડી રાત્રિ અને સમય વધુ થઈ ગયો હોવાથી કોઈ પશુચિકિત્સક ઉપલબ્ધ ન રહ્યા. આવી સ્થિતિમાં હિરેન શાહે જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ હિરેન શાહ, સંજયભાઈ પટેલ તેમજ ગરુડ ગૌસેના ના સભ્યોએ મળીને ખૂબ જ કાળજીપૂર્વક ગાયનું બહાર નીકળેલું ગર્ભાશય ફરી યોગ્ય સ્થાને બેસાડી જરૂરી સારવાર આપી હતી. સમયસર સારવાર મળતાં ગાયની સ્થિતિ સ્થિર બની હતી.
આ દરમિયાન બીજો કોલ અયોધ્યા નગર ખાતે સંતોષી માતાના મંદિર નજીકથી મળ્યો હતો, જ્યાં એક ગાય છેલ્લા એક દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી હોવાનું જણાવાયું હતું. તમામ ગૌસેવકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને ગૌમાતાને સારવાર આપી હતી. સારવાર બાદ ગાય ફરી ઊભી થઈ ચાલી શકી હતી.
બન્ને સ્થળે ગૌસેવકોની ઝડપી કામગીરી અને નિસ્વાર્થ સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યા હતા તથા તેમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે જીવદયા અને સેવા ભાવના આજે પણ સમાજમાં જીવંત છે.
