અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે આયોજિત મામા સાહેબના ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમમાં અંદાજે 5 થી 7 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ ભંડારાનો લાભ લીધો હોવાનું આયોજનકારોએ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વહેલી સાંજથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ શ્રદ્ધાભાવે દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સ્થળે ધાર્મિક માહોલ સાથે સેવા ભાવના જોવા મળી હતી.
રાત્રિના સમયે યોજાયેલા ભજન કાર્યક્રમમાં ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. કલાકારોએ એકથી એક સુંદર ભજનોની રજૂઆત કરતાં ઉપસ્થિત લોકો ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા. મોડી રાત્રી સુધી ભજન સંધ્યા ચાલી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા ગ્રામજનો અને આયોજનકારોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
