ભરૂચ:
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા વર્ષ 2026-27 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના યુવાનો અને યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવશે.
આ તાલીમ શિબિરમાં 15થી 35 વર્ષની વય ધરાવતા અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના યુવાનો અને યુવતીઓ ભાગ લઈ શકશે. દરેક તાલુકામાંથી અંદાજે 45 તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવશે, જેમને વ્યક્તિત્વ વિકાસ અને યોગાસનની સઘન તાલીમ આપવામાં આવશે.
શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકાશે.
આ અંગેની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આપવામાં આવી છે.
