ભરૂચ: મુંબઈમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં મુંબઈ–અમદાવાદ–દિલ્હી રૂટ સહિત પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ કુલ 49 ટ્રેનો રદ કરી હતી, જ્યારે 23 ટ્રેનોના રૂટ ડાયવર્ટ, 29 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, 15 ટ્રેનોનું રી-શેડ્યૂલિંગ અને 20 ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અનેક લાંબા અંતરની ટ્રેનો 8થી 9 કલાકના વિલંબ સાથે દોડી હતી.
મુસાફરોને પડેલી અસુવિધાને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેએ 7,135 મુસાફરોને કુલ ₹52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું. ઉપરાંત ટ્રેનોની સ્થિતિ અંગે સમયસર માહિતી પહોંચાડવા માટે 99 ટ્રેનોના અંદાજે 1.27 લાખ મુસાફરોને બલ્ક એસએમએસ મોકલીને અપડેટ આપવામાં આવ્યા હતા.
વિવિધ સ્ટેશનો પર અટકેલી 27 ટ્રેનોના 19 હજારથી વધુ મુસાફરોને ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંશિક અથવા સંપૂર્ણ રદ થયેલી ટ્રેનોના 1,020 મુસાફરો માટે 17 બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મુસાફરોને માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે 10 રેલવે સ્ટેશનો પર હેલ્પલાઈન ડેસ્ક પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા.
મુંબઈમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાની અસર માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત રહી નહોતી. તેના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક સ્ટેશનો પર પણ ટ્રેનોને રોકવાની ફરજ પડી હતી, જેના કારણે સમગ્ર પશ્ચિમ રેલવે નેટવર્ક પર વ્યાપક અસર જોવા મળી હતી.
સોમવારે મોડી રાત્રે વરસાદની તીવ્રતા ઘટતાં રેલવે સેવાઓ ધીમે ધીમે પુનઃ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં મંગળવારે પણ કેટલીક ટ્રેનો વિલંબથી દોડતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
