ભરૂચ.
વસ્તી સ્થિરતા, પરિવાર નિયોજન અને માતા-બાળ આરોગ્ય અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન’ની થીમ સાથે ભરૂચ રેલવે સ્ટેશનથી રેલીનો પ્રારંભ થયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ જિલ્લા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી.
રેલી દરમિયાન ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ’ સહિત પરિવાર નિયોજન અને જવાબદાર માતા-પિતૃત્વ અંગેના વિવિધ જનજાગૃતિ સંદેશો ધરાવતા પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રેલીમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં તા. 18 જુલાઈ 2026 સુધી ‘સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન’ની થીમ હેઠળ વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન અંગે વ્યાપક જનજાગૃતિ લાવવી, માતા અને બાળકના આરોગ્યને પ્રોત્સાહન આપવું, યોગ્ય દંપતીઓને ગુણવત્તાસભર પરિવાર કલ્યાણ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ જવાબદાર માતા-પિતૃત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે.
જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અભિયાન દરમિયાન આશા કાર્યકરો, ANM, MPHW તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાત્ર દંપતીઓનો સીધો સંપર્ક કરી પરિવાર નિયોજનના વિવિધ સાધનો, અંતરાલ અને કાયમી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
