અંકલેશ્વર શહેરના નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ તેમજ જાહેર સ્થળોએ બીભત્સ અને અશોભનીય ચેનચાળા કરનારાઓ સામે અંકલેશ્વર ‘બી ડિવિઝન’ પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી કડક કાર્યવાહી કરી છે.
નર્મદા કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વાહનોની અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિક નિયમોના ભંગ તેમજ જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અંગે ફરિયાદો સામે આવી રહી હતી. પરિવાર સાથે ફરવા આવતા લોકો અને સ્થાનિક નાગરિકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆતો કરવામાં આવી હતી.
ફરિયાદોને ગંભીરતાથી લઈ ‘બી ડિવિઝન’ પોલીસ દ્વારા નર્મદા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. વિશેષ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોની ગૌરવ, શાંતિ અને સલામતી જાળવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું મહત્વનું સ્થળ હોવાથી અહીં શિસ્તબદ્ધ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
‘બી ડિવિઝન’ પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ કે જાહેર શાંતિ ભંગ થતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે. નર્મદા કિનારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં મુલાકાત લઈ શકે તે માટે પોલીસ તંત્ર સતત સતર્ક હોવાનું જણાવાયું છે.
