ભરૂચ:
વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત શનિવારે ભરૂચ જિલ્લાની વિવિધ ન્યાયાલયોમાં યોજાઈ હતી. લોક અદાલતમાં કુલ 20,549 કેસોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે ₹22 કરોડ 33 લાખની રકમનું સમાધાન થયું હતું.
નાલ્સાના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક અદાલતમાં વિવિધ પ્રકારના 6,191 પેન્ડિંગ કેસો, 887 પ્રિ-લિટિગેશન કેસો તેમજ 13,471 ટ્રાફિક ઈ-ચલણના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 20,549 કેસોનો કાયમી નિકાલ થતાં પક્ષકારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત મળી હતી.વિશેષ નોંધનીય બાબત એ રહી કે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી પડતર ત્રણ કેસોનો પણ સમાધાનના માધ્યમથી નિકાલ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ન્યાયાધીશો, ન્યાયાલયના કર્મચારીઓ, વકીલો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ પક્ષકારોનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ, પૂર્ણકાલીન સચિવ અને DLSAની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
