વાંકલ:
ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ‘નાદરવાદેવ’ અને ગ્રામદેવતીની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ગામના યુવાનો અને વડીલોના સહિયારા પ્રયાસોથી રચાયેલી ગ્રામદેવતી ઉજવણી સમિતિ દ્વારા જેઠ વદ તેરસના પવિત્ર દિવસે ગામના દેવસ્થાને વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ ધાર્મિક ઉજવણી દરમિયાન સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે, કુદરતના આશીર્વાદ વરસતા રહે, ચોમાસામાં સારો વરસાદ થાય અને ખેતીના પાકમાં ભરપૂર બરકત આવે તે માટે વિશેષ પૂજા-અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ગામના તમામ લોકો નિરોગી અને સુરક્ષિત રહે તેવી પણ પ્રાર્થના કરાઈ હતી.
ઉજવણીમાં પ્રકૃતિ પૂજનનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. ગ્રામજનોએ પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વાડી ગામ ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
આ પ્રસંગે ગામના વડીલ અને અગ્રણી હરીશભાઈ, ચંદસિંગભાઈ, પૂજારી રેન્જરભાઈ સહિત ગામના ઉત્સાહી યુવાનો, વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉત્સવની હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
