ભરૂચ:
ભરૂચ તાલુકાના પારખેત ગામની સ્મશાન નવીનગરી વિસ્તારમાં 112 પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાની અદાવત રાખી એક શ્રમિકને ગાળાગાળી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પાલેજ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
ભરૂચ તાલુકાના પારખેત ગામે રહેતાં રતિલાલ ચતુરભાઈ વસાવાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદ મુજબ, 10 જુલાઈ 2026ની સાંજે તેમના ઘરની નજીક રહેતા રામુ મેલા વસાવા કથિત રીતે નશાની હાલતમાં ફળિયામાં લવારો કરતો હતો. જેથી રતિલાલે જનરક્ષક 112 પર ફોન કરતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી રામુને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ બાબતની અદાવત રાખી બીજા દિવસે સવારે આશરે 7 વાગ્યે રામુ મેલા વસાવા અને તેની પત્ની જશી રામુ વસાવા ફરિયાદીના ઘરે પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. બંનેએ “તું કેમ પોલીસને ફોન કરીને બોલાવી?” તેમ કહી ફરિયાદી સાથે ગાળાગાળી શરૂ કરી હતી. બનાવ દરમિયાન સ્થાનિક લોકો વચ્ચે પડી સમજાવવાનો પ્રયાસ કરતા બંને વધુ ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદ રામુએ કમરના ભાગેથી છરી કાઢી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ફરિયાદીએ ગામના ડેપ્યુટી સરપંચ સહિતના લોકો સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે રામુભાઈ મેલાભાઈ વસાવા અને જશીબેન રામુભાઈ વસાવા સામેના આક્ષેપોની તપાસ હાથ ધરી છે.
