ભરૂચ:
ભરૂચ જિલ્લાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા CBDCની કામગીરી અને રેશનકાર્ડ ધારકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે જિલ્લા પુરવઠા અધિકારી (DSO)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલી CBDC વ્યવસ્થાનો દુકાનદારોને કોઈ વિરોધ નથી, પરંતુ તેની કામગીરી વ્યાજબી ભાવના દુકાનદારો પર નાખવાને બદલે સરકાર દ્વારા નિયુક્ત VCE મારફતે કરાવવામાં આવે.
એસોસિએશનના જણાવ્યા મુજબ વ્યાજબી ભાવના દુકાનદારોને સરકાર દ્વારા કમિશન એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી CBDCની કામગીરી સરકાર પોતાના VCE પાસે કરાવે અને રેશન દુકાનદારો કાર્ડધારકોને VCE સુધી પહોંચાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે.
રજૂઆતમાં ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જે રેશનકાર્ડ ધારકોનું CBDC થઈ ગયું છે, તેઓ અનાજ લેવા આવે ત્યારે ફિંગરપ્રિન્ટ મારફતે કાર્ડધારકનું લોગિન દેખાતું નથી. બીજી તરફ આવા કાર્ડધારકોને 25 તારીખે અનાજ લેવા આવવાનો મેસેજ મળે છે. જેના કારણે લાભાર્થીઓને વારંવાર ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ રહી છે.
એસોસિએશને માંગ કરી છે કે CBDC થયેલા કાર્ડધારકોને ફિંગરપ્રિન્ટના આધારે પણ સરળતાથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને આ સમસ્યાના ઉકેલ માટે સરકાર કક્ષાએ તાત્કાલિક રજૂઆત કરવામાં આવે.આ ઉપરાંત વ્યાજબી ભાવના દુકાનદારોને નિયમિત કમિશન નહીં મળતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એસોસિએશને દર મહિનાની 1થી 10 તારીખ દરમિયાન દુકાનદારોનું કમિશન નિયમિત રીતે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સરકાર સમક્ષ દરખાસ્ત પહોંચાડવા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે.
