ભરૂચ :
Advertisement
ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજને વધુ સુંદર અને આકર્ષક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની બંને બાજુની પાળી પર વિવિધ આકર્ષક ચિત્રો દોરવામાં આવી રહ્યાં છે, જેના માધ્યમથી ભરૂચના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વિશિષ્ટ ધરોહરોને ઉજાગર કરવામાં આવશે.
ચિત્રાંકન દ્વારા પ્રાચીન ભૃગુકચ્છથી આજના ભરૂચ સુધીની ઐતિહાસિક સફરને કલાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવશે. ભૃગુઋષિ સાથે જોડાયેલી ઐતિહાસિક ઓળખ ઉપરાંત શહેરની જાણીતી ધરોહરો અને ભરૂચની વિશેષતાઓને પણ ચિત્રોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવશે.
આ પ્રયાસથી ભૃગુઋષિ બ્રિજ માત્ર અવરજવરનું માધ્યમ નહીં, પરંતુ શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની ઓળખ કરાવતી એક ઓપન આર્ટ ગેલેરી તરીકે પણ ઉભરી આવશે. બ્રિજ પરથી પસાર થતા શહેરવાસીઓ અને મુલાકાતીઓને ચિત્રોના માધ્યમથી ભરૂચની ઐતિહાસિક સફરની ઝલક જોવા મળશે.
