ભરૂચ :
ભરૂચ જિલ્લામાં મહિના પહેલાં જ પ્રમોશન મેળવી આયોજન અધિકારી તરીકે ફરજ પર આવેલા પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના બનાવમાં પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. મળેલી અંતિમ ચિઠ્ઠીના આધારે ક્રેડિટ કાર્ડની લોન અને તેના હપ્તાના તણાવને કારણે તેમણે અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પિયુશકુમાર ઉકાણી અગાઉ છોટાઉદેપુર ખાતે આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન પણ તેઓ લોનના હપ્તાઓને લઈને ચિંતિત રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આશરે એક મહિના પહેલાં જ તેમને ક્લાસ-1 અધિકારી તરીકે પ્રમોશન મળતાં ભરૂચના આયોજન વિભાગમાં બદલી થઈ હતી.
ભરૂચમાં બદલી બાદ તેમણે તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી રામેશ્વર સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું અને પરિવાર સાથે રહેતા હતા. બનાવ સમયે તેમની પત્ની અને સંતાન સુરત ખાતે સંબંધીના ઘરે ગયાં હતાં. દરમિયાન તેઓ ઘરે એકલા હતા અને ગત રોજ સવારે ઘરની બાલ્કનીમાં હૂક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપ પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. ઘરની સામે રહેતી એક મહિલા કપડાં સુકવવા બહાર આવી ત્યારે તેની નજર પડતાં આસપાસના લોકો એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસ પિયુશકુમાર ઉકાણીએ કઈ-કઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડ મારફતે લોન લીધી હતી, તેમના પર કુલ કેટલું દેવું હતું અને લોનના હપ્તાની સ્થિતિ શું હતી તે સહિતની વિગતો એકત્ર કરી રહી છે. પ્રાથમિક તબક્કે આર્થિક સંકળામણ સિવાય અન્ય કોઈ કારણ સામે આવ્યું નથી, તેમ છતાં પોલીસ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છોટાઉદેપુરમાં ફરજ દરમિયાન પણ પિયુશકુમાર લોનના હપ્તાઓને લઈને ચિંતામાં રહેતા હતા. તેમણે સાથી કર્મચારીઓ સમક્ષ લોનની ભરપાઈ ન થાય તો શું પરિણામ આવી શકે તે અંગે પૂછપરછ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રમોશન સાથે ભરૂચમાં બદલી થયા બાદ તેઓ આર્થિક ભારણની સાથે અન્ય દબાણનો પણ સામનો કરી રહ્યા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જોકે, મૃતકે ક્રેડિટ કાર્ડ કે અન્ય માધ્યમથી કુલ કેટલી રકમની લોન લીધી હતી અને તેમના પર વાસ્તવમાં કેટલું દેવું હતું તેનો ચોક્કસ આંકડો હજી બહાર આવ્યો નથી. પોલીસની તપાસ બાદ જ આપઘાત પાછળના ચોક્કસ કારણો વધુ સ્પષ્ટ થઈ શકશે.
