ભરૂચ:
ભરૂચ જિલ્લામાં લાંચના એક ગંભીર પ્રકરણમાં પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ત્રણ પોલીસકર્મીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરાયેલ મોબાઇલ ફોન પરત આપવા માટે રૂ.3 લાખની કથિત લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં રૂ.1 લાખની રકમ સ્વીકારાતા ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ACBની વિગતો મુજબ ફરિયાદી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ તેમને સબજેલ મોકલવામાં આવ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ ફરિયાદી પોતાનો મોબાઇલ ફોન પરત મેળવવા પાનોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોબાઇલ પરત આપવા માટે રૂ.3 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ એકસાથે આટલી રકમની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાનું જણાવતાં રૂ.1 લાખના ત્રણ હપ્તામાં રકમ આપવાનું નક્કી કરાયું હોવાનો ACBનો દાવો છે.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે 14 જુલાઈ, 2026ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કન્ટેનરમાં કાર્યરત ‘ડી’ સ્ટાફની ચેમ્બરમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ACBના જણાવ્યા અનુસાર હેતુલક્ષી વાતચીત બાદ પ્રથમ હપ્તાના રૂ.1 લાખ સ્વીકારવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. ACBએ લાંચની સંપૂર્ણ રૂ.1 લાખની રકમ રિકવર કરી ત્રણેય પોલીસકર્મીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ સ્વીકારી હોવાના આરોપસર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં આરોપી તરીકે અ.હે.કો. અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કરણભાઈ ચાવડા અને અ.હે.કો. જયદીપસિંહ સુખદેવસિંહ પરમારના નામ દર્શાવવામાં આવ્યા છે.
સમગ્ર ટ્રેપની કાર્યવાહી ભરૂચ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યવાહીનું સુપરવિઝન ACB વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.એન. પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે ઇન્ચાર્જ નાયબ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
