ભરૂચ :
આગામી 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તેમજ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા યોજાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. વર્ષોથી આ રથયાત્રા હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજિક સૌહાર્દનું જીવંત પ્રતિક બની રહી છે.
તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવશે. ઠંડા પીણાં, પાણી, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં બંને સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS), ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતની વિશેષ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. ઉપરાંત DYSP, PI, PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રથયાત્રા રૂટ પર તૈનાત રહેશે.
સુરક્ષાના ભાગરૂપે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયા બાદ આજે પણ ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે.
બેઠકમાં ભરૂચ શહેરના DYSP સી.કે. પટેલ, અંકલેશ્વર ડિવિઝનના DYSP ડો. કુશલ ઓઝા, બંને વિભાગોના PI, PSI, પોલીસ મિત્રો, રથયાત્રા આયોજકો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
