ભરૂચ :
રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમને માર્ગમાં જ રોકી દીધા હતા.
સ્થળ પર ભરૂચ એ ડિવિઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.
