ભરૂચ :
ભરૂચ શહેરમાં રોકાણ પર સારું વળતર અપાવવાની લાલચ આપી મહિલાને અંદાજે ₹90.07 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના મલ્હાર ગ્રીન સિટી ખાતે રહેતાં ધરાબેન અનિલભાઈ પરમાર ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ કે.જે. પોલિટેકનિકમાં નોકરી કરે છે. માતા-પિતાના અવસાન બાદ ધરાબેને વડીલોપાર્જિત મિલકત વેચી હતી અને તેમની પાસે સોના-ચાંદીના દાગીના પણ હતા. મળેલી રકમનું યોગ્ય રોકાણ કરવાની તેઓ વિચારણા કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમની સામેના મકાનમાં ભાડેથી રહેવા આવેલા અંજલી સંજય આસોલકર અને તેમના પતિ અશોક આસોલકર સાથે ઓળખાણ થઈ હતી. અંજલીએ પોતાના ભાણેજ અથર્વ સંજય જોષીની ઓળખાણ કરાવી હતી અને તે CAનો અભ્યાસ કરતો હોવાનું જણાવી રોકાણ અંગે માર્ગદર્શન આપવાની વાત કરી હતી.
આરોપીઓએ ધરાબેનને **REIT (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ)**માં રોકાણ કરાવ્યાનો દાવો કરીને દર મહિને આશરે 3 ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપી હતી. ઉપરાંત, મહારાષ્ટ્રના પૂણેમાં મિલકત ખરીદી તેના ભાડામાંથી પણ નિયમિત આવક મળશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.
આ વાતોમાં વિશ્વાસ રાખીને ધરાબેને રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹90.07 લાખ આરોપીઓને આપ્યા હતા. જોકે, લાંબા સમય સુધી કોઈ રિટર્ન કે રોકાણની વિગતો ન મળતાં તેમણે પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓ ગોળમટોળ જવાબ આપવા લાગ્યા હતા. ત્યારબાદ અથર્વે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને અંજલી આસોલકરે પણ સામેનું ભાડાનું મકાન ખાલી કરી સ્થળ છોડી દીધું હતું. ત્યારબાદ બંનેનો સંપર્ક તૂટી જતા ધરાબેનને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આખરે ધરાબેને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
