ભરૂચ :
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગેના આયોજનની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તા. 10થી 17 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા તા. 11 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ ભરૂચ રેલવે સ્ટેશન સુધી યોજાશે અને ત્યાંથી પરત ફરી પૂર્ણ થશે.

આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકા વિસ્તારોમાં પણ લોકભાગીદારી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. શાળા-કોલેજોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારિત વક્તૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. વિવિધ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામૂહિક ગાન પણ કરવામાં આવશે.
અભિયાન દરમિયાન સરકારી કચેરીઓને આકર્ષક રોશનીથી શણગારવામાં આવશે. નાગરિકોને ‘Selfie With Tiranga’ ડિજિટલ અભિયાનમાં જોડાઈ તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
14મીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, સ્થળાંતર અને બલિદાનને યાદ કરવા માટે તા. 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોલ ખાતે ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષની ગાથા દર્શાવતું વિશેષ પ્રદર્શન તેમજ નુક્કડ નાટક યોજાશે.
કલેક્ટર નવનાથ ગવ્હાણેએ જિલ્લાના નાગરિકોને તિરંગા યાત્રા સહિતના તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
