ભરૂચ શહેર જિલ્લામાં આગામી થોડા વર્ષો માટે નવા ઓટો રીક્ષા પરમિટ આપવાનું બંધ કરવામાં આવે તેમજ શહેરમાં ઓલા-રેપિડો સર્વિસ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે રીક્ષા એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
ભરૂચ રીક્ષા એસોસીએશને જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેને કરેલી રજૂઆત મુજબ, ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી રીક્ષાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ભરૂચ શહેરનો વિસ્તાર હજી મેગાસિટીની જેમ વધ્યો નથી બીજી તરફ શહેરમાં સાંકળા
રસ્તાઓ અને તેમાંય ખાનગી વાહનોની અવર-જવર અને બીજી તરફ શહેરમાં ફરતી રીક્ષાઓને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી હાલની શહેર વિસ્તારની સ્થિતીને ધ્યાનમાં રાખી આગામી દશેક વર્ષ સુધી શહેરમાં નવી રીક્ષાની પરમિટ આપવામાં ન આવે તેવી માંગ તેમણે કરી હતી. બીજી તરફ શહેરમાં એક તરફ રીક્ષાની સંખ્યા વધી જવાને કારણે તેમની રોજિંદી આવક પર અસર ઉભી થઈ છે. ત્યાં ભરૂચ જેવા નાનકડા શહેરમાં ઓલા રેપિડો જેવી સર્વિસ શરૂ થતાં લોકો પરંપરાગત રીક્ષાની મુસાફરી કરવાનું ટાળી રેપિડો-ઓલા સર્વિસનો ઉપયોગ કરે છે. જેના કારણે રીક્ષા ચાલકોને બેવડો માર વેઠવાનો આવી રહ્યો છે. જેથી જિલ્લા કલેક્ટર હાલમાં રીક્ષા ચલાવી જીવન ગુજારતાં લોકોની રોજગારી ચાલુ રહે તે માટે કોઈ નિર્ણય લે તેવી માગ કરી હતી.
