ભરૂચ:
ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, પંચબત્તી સર્કલ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબના છઠ્ઠા માળે અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો શુભારંભ કરવામાં આવ્યો છે. હોસ્પિટલનું ઉદ્ઘાટન અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના સંચાલકોના જણાવ્યા મુજબ, ભરૂચમાં સૌપ્રથમવાર 24 કલાક અને 365 દિવસ ન્યુરો તથા સ્પાઇનની સારવાર માટે સમર્પિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેના પગલે મગજ, મણકા, સ્ટ્રોક, લકવા તથા અન્ય ન્યુરોલોજીકલ સમસ્યાઓની સારવાર માટે સ્થાનિક દર્દીઓને અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરો તરફ જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ હાજરી આપી હતી.
24 કલાક ન્યુરો નિષ્ણાતોની સેવા
અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન ડો. અમિત ગામિત, ડો. કેયુર પ્રજાપતિ, પ્રો. (ડો.) મેહુલ મોદી, ડો. હરીન મોદી અને ડો. જેનિલ ગુરનાની સહિતની નિષ્ણાત ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે. હોસ્પિટલના જણાવ્યા મુજબ ન્યુરો ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. ગંભીર ઈજા અથવા લકવા બાદ દર્દીઓને પુનઃવસન માટે ડો. નિરજ ભણસાલી અને ડો. તોરલ ભણસાલી દ્વારા રિહેબિલિટેશન સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં રોબોટિક રિહેબિલિટેશનની સુવિધા
હોસ્પિટલની સૌથી મોટી વિશેષતાઓમાં રોબોટિક રિહેબિલિટેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, સ્ટ્રોક, મગજની ઈજા અથવા મણકાની સર્જરી બાદ ચાલવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓના પુનઃવસન માટે આધુનિક રોબોટિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત એન્ડોસ્કોપિક પદ્ધતિથી મગજ અને મણકાની જટિલ સર્જરી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
50 બેડનું ન્યુરો-સ્પાઇન યુનિટ
દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલમાં 50 બેડનું સમર્પિત ન્યુરો-સ્પાઇન યુનિટ, 8 બેડનું અતિઆધુનિક ક્રિટિકલ કેર ICU અને 17 બેડનું ઓર્થો તથા ન્યુરો રિહેબ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં એડવાન્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર, સર્જિકલ માઇક્રોસ્કોપ, C-Arm, NCV, EMG, EEG, ડિજિટલ X-Ray તથા મલ્ટી-સ્પેશિયાલિટી લેબોરેટરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેશલેસ સારવાર સાથે સ્ટ્રોક હેલ્પલાઇન
સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓને પણ અત્યાધુનિક સારવારનો લાભ મળી રહે તે માટે વિવિધ મુખ્ય મેડિક્લેમ વીમા સાથે કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું છે.સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા સ્ટ્રોક હેલ્પલાઇન નંબર 9127 108 108 શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને જરૂરિયાત મુજબ વિનામૂલ્યે રક્તની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચમાં 24 કલાક ન્યુરો અને સ્પાઇન સારવારની આ નવી સુવિધા શરૂ થતાં ભરૂચ સહિત નર્મદા અને આસપાસના જિલ્લાના દર્દીઓને અત્યાધુનિક સારવાર સ્થાનિક સ્તરે મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
