ભરૂચ:
રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, શાળા વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વધુ સુદૃઢ બનાવવા માટે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) અમલમાં મૂકવામાં આવ્યું છે. જેના અંતર્ગત ભરૂચ જિલ્લાની 392 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક અને 1233 સરકારી પ્રાથમિક શાળાઓ મળી કુલ 1,625 શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
SQAAF હેઠળ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર તમામ શાળાઓ માટે સ્વ-મૂલ્યાંકન ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી શાળાઓએ ઓનલાઈન પોર્ટલ પર સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પસંદગી પામેલી 33 ટકા શાળાઓનું થર્ડ પાર્ટી વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે.
શાળાઓમાં શૈક્ષણિક પ્રક્રિયા, વિદ્યાર્થીઓની પ્રગતિ, શિક્ષકોની કામગીરી, શાળા નેતૃત્વ અને વ્યવસ્થાપન, ભૌતિક સુવિધાઓ, સમાવેશી શિક્ષણ તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ પાસાંનું નિર્ધારિત માપદંડોના આધારે મૂલ્યાંકન થશે. સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકનના ગુણાંકનમાં 15 ટકાથી વધુ તફાવત જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
મળેલા ગ્રેડને જિલ્લા સ્તરના પબ્લિક ડોમેન ઉપરાંત શાળાના નોટિસ બોર્ડ પર પણ ફરજિયાત દર્શાવવાનો રહેશે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળાની ગુણવત્તા અંગે માહિતી મળી શકે.
આ પ્રક્રિયા અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા 14 ઓગસ્ટે શાળાઓને સૂચના આપવામાં આવી હતી. આચાર્યો, BRC, CRC, સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘોના પ્રતિનિધિઓ સહિત 82 સભ્યોને પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સ્વ-મૂલ્યાંકનમાં ભાગ નહીં લેનારી શાળાઓનું રાજ્યકક્ષાની ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
