Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો*

Share

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો*

***
*ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમ )ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું*

Advertisement

***
ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ ધ્વારા પ્રજાના પૈસાથી થતા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
શોર્ટ મેસેજ સર્વિસીસ ( એસએમએસ )ના ઉપયોગ પર પ્રતિબંધ
હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં
ચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોડીંગ્સ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ પર નિયમન
ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકતાઓના તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ
*****
ભરૂચઃ ગુરૂવારઃ – ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી ધ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪થી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર કરેલ છે તે મુજબ જિલ્લામાં મતદાનની તા.૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ નકકી કરવામાં આવેલ છે જે સંદર્ભે મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સુલેહ,શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધો મૂકવા જરૂરી જણાતા ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તુષાર ડી. સુમેરા (આઈ.એ.એસ.)એ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમ )ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ એક હુકમ ધ્વારા ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

(૧) ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ ધ્વારા પ્રજાના પૈસાથી થતા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ બાબત
(એ) જે તે વિસ્તારના સત્તાધારી પક્ષ ધ્વારા હોડીંગ્સ, માસ મીડીયા, વર્તમાનપત્રો, ટી.વી ચેનલોમાં તથા અન્ય વિજાણું માધ્યમોમાં પોતાના પક્ષની સિધ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં.

(ર) ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો/ ઉમેદવારોએ હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે પાલન કરવાની સૂચનાઓ બાબત
(એ ) જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ પ્રકારના દબાણ ધ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહી.
(બી) ધાર્મિક સ્થળોએ કે તેના પરીસરમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહી.
(સી) કોઇ પણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજુબાજુમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં.
(ડી) હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં
(ઇ) ચૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ફલેગ તથા પક્ષના ચિન્હ / ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર પ્રદર્શિત કરી શકશે.
(એફ) ચૂંટણી કાર્યાલયે પ્રદર્શિત કરેલા બેનરની સાઇઝ ૪ ફૂટ x ૮ ફૂટની વધુ હોવી જોઇએ નહી
(૩) શોર્ટ મેસેજ સર્વિસીસ ( એસએમએસ )ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા બાબત
(એ) સદરહું ચૂંટણી અન્વયે કોઇ પણ વ્યકિતએ આદર્શ આચાર સંહિતાના ભંગ તથા ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ ધ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ ) અન્ય વ્યકિતઓને મોકલવા નહીં
(બી) ચૂંટણી પ્રચારના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે કરાયેલ જથ્થાબંધ (બલ્ક) એસ.એમ.એસ નો ખર્ચ ઉમેદવારે ખર્ચ રજીસ્ટરમાં નોંધવાનો રહેશે.
(સી) મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાના સમયગાળામાં ચૂંટણી પ્રચાર કે રાજકીય હેતુ માટે જથ્થાબંધ (બલ્ક) એસ.એમ.એસ કરી શકાશે નહીં
આ હુકમ ફરજ ઉપર રોકાયેલ તમામ સરકારી તથા અર્ધ સરકારી અધિકારીશ્રીઓ/ કર્મચારીઓને લાગુ પડશે નહીં.
(૪) ચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોડીંગ્સ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ પર નિયમન કરવા બાબત
(એ) રાજકીય પક્ષો /ઉમેદવારોએ જે સ્થળે ચૂંટણી પ્રચાર માટે સભા રાખી હોય તે સ્થળની અંદર જે સમય દરમ્યાન સભા યોજવામાં આવી હોય તેટલા સમય દરમ્યાન જ બેનર્સ, હોડીંગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શિત કરી શકાશે અને સભા પુરી થયા પ્છી તૂર્ત જ સભાના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલ બેનર્સ, હોડીંગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે દૂર કરવાના રહેશે. તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ લાદેલા નિયંત્રણો તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણ અને જો કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને આધીન ચૂંટણી પ્રચાર માટેના સરધસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે તે સિવાય કોઇ ઉમેદવારોએ, રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારોએ કોઇ કટ આઉટ દરવાજો ( GATES ) કે કમાનો ( ARCHES ) ઉભા કરવા નહીં
(બી) કોઇ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો, વ્યકિતઓ ધ્વારા કોઇ પણ જગ્યાએ કટઆઉટ જાહેરાતના પાટીયા, બેનર વિગેરે મુકતા પહેલા તે અંગેની જાણ ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે.
(સી) જયાં એક પક્ષે સભાઓ યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરધસ લઇ જવું નહી તેમજ પોતાના પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહી. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહી અને ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે.
(ડી) કોઇ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો,અન્ય સંગઠનો,વ્યકિતઓ ચૂંટણી પ્રચાર માટે શાળા અને કોલેજોના મેદાનોમાં રાજકીય મીટીંગો માટે પરવાનગી લઇ ઉપયોગ શકી શકશે અને આવી મીટીંગો સવારના ૬-૦૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી જ યોજવાની રહેશે.
(૧) શાળા અને કોલેજના શૈક્ષણિક સમય પત્રકને કોઇ પણ સંજોગોમાં અસર થવી જોઇએ નહીં
(ર) શાળા કોલેજના વ્યવસ્થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહી અને શાળા/ કોલેજોના વ્યવસ્થાપક મંડળની અગાઉથી મંજૂરી લીધેલી હોવી જોઇએ.
(૩) આવી મંજૂરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ. કોઇ પણ રાજકીય પક્ષને આ મેદાનોનું એક હથ્થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહીં.
(૪) શાળા/ કોલેજોના મેદાનોનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગને ચૂંટણી આયોગ ગંભીરતાથી જોશે અને આ બાબતની જવાબદારી સભા માટે મંજૂરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની રહેશે.
(પ) રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર દર્શાવેલા ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને તકેદારી લેવાની રહેશે
(૬) જો આ મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને કોઇ પણ નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત સોંપવું અને જો કોઇ નુકશાન થયું હોય તો તેના વળતર સાથે પરત સોંપવું. સંબંધિત રાજકીય પક્ષ/ પક્ષે મેદાન પર સોંપતી વખતે નુકશાનનું વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે.
(ઇ) રાજકીય પક્ષો/ ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
(પ) ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકતાઓના તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ બાબત.
(એ ) લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નો ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદાર ક્ષેત્રમાં રહેવું નહીં.
આ હુકમનો સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ ( બંને દિવસ સહીત ) સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર સામે ધી ઇન્ડિયન પીનલ કોડ ની કલમ-૧૮૮ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરના કોઇ પણ આચાર સંહીતા અમલીકરણ અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Share

Related posts

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

ભરૂચ ના પગુથણ ગામ નજીક નહેર માં ડૂબી જતાં એક યુવાન નું મોત થયું હતું..યુવાન નહેર માં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…

ProudOfGujarat

વડોદરાના ડભોઇમાંથી ચોરાયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!