સૈનિક સ્કુલમાં આદિજાતિના ૩૭૨ વિદ્યાર્થીઓ ભોજન, રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છેઃ
વાંકલ :: આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્રતયા વિકાસ માટે શિક્ષણ, રોજગારી, આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાનના લેવાયેલા ચતુષ્કોણીય પગલાઓના કારણે આદિવાસી યુવાનો વિકાસની મુખ્યધારામાં સામેલ થયા છે. આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે.
આદિજાતિ સમાજના લોકોનો સામાજિક-આર્થિક વિકાસમાં થાય તથા બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, સાક્ષરતા દર ઉંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલો, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ ડે સ્કુલ, બે સૈનિક સ્કુલો કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત છે.
રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી(બિલવણ) ખાતે સૈનિક સ્કુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના થકી આદિજાતિના બાળકોના સૈનિક બની રાષ્ટ્રસેવા કરવાના સપના સાકાર થઈ રહ્યા છે.
સૈનિક સ્કુલના પ્રિન્સિપાલ જયદિપસિંહ રાઠોડ કહે છે કે, આ સૈનિક શાળાના પટાંગણમાં ત્રણ શાળા કાર્યરત છે. જેમાં સૈનિક સ્કુલમાં ધો.૬ થી ૧૨માં ૧૭૩ દીકરા તથા ૧૯૯ દીકરીઓ મળી કુલ ૩૭૨ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ભોજન, રહેઠાણની સહિતની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. જયારે ધો.૧૧ અને ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે. જ્યારે કાર્યકારી શાળા તરીકે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-ઉમરપાડાના ૬૦ વિદ્યાર્થીઓ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-માંગરોળના ૨૫૯ વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે. આમ, કુલ ૬૯૧ વિદ્યાર્થીઓ ભોજન, નિવાસની સુવિધા સાથે વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે.
વધુમાં તેઓ કહે છે કે, સૈનિક શાળા ૨૦૧૭માં બારડોલીના મોતા ગામે શરૂ થઈ હતી. ત્યારબાદ જૂન-૨૦૨૩માં વાડી ગામે રાજ્ય સરકારે રૂા.૫૦ કરોડના ખર્ચે અદ્યતન મેદાન સાથે ૨૦ એકર જમીનમાં સૈનિક સ્કુલનું નિર્માણ કર્યા બાદ અહી કાર્યરત થઈ છે. શાળાના પટાંગણમાં અભ્યાસ માટે અદ્યતન સુવિધાથી સજ્જ ભવન, મેસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથેનું ૪૦૦ મીટરનું મેદાન, લાયબ્રેરી, કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી લેબ, કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં ૪૮ ઓરડા તથા ૨૩ સ્માર્ટ ક્લાસરૂમ છે.
સૈનિક સ્કુલના બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ૨૦૨૩-૨૪માં ધો.૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૯૫.૯૧ ટકા આવ્યું હતું. જયારે એચ.એસ.સી.નું ધો.૧૨નું ૮૧.૮૧ ટકા પરિણામ આવ્યું હોવાનું આચાર્ય જણાવે છે.
અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાનો મત વ્યકત કરતા કહે છે કે, અત્યાર સુધી અમારા બાળકોનું સૈનિક બનીને દેશની સેવા કરવાનું માત્ર સ્વપ્ન હતું, પણ રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે અમારા બાળકો પણ સૈનિક સ્કુલમાં અભ્યાસ કરીને સૈનિક બનવા માટે આગળ વધી રહ્યા છે.
