સામાન્ય સભામાં ૨૮ મુદ્દાઓ ચર્ચાયા, મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરાયાં
। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકા દ્વારા બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૮ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, તે પૈકીના સાયખા જીઆઈડીસી ખાતે શહેરના ધન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે ફાળવેલી જમીનનો મુદ્દો ભારે ગરમાયો હતો.
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં બુધવારે સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળેલી આ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા, વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો હાજર રહ્યાં હતાં. સભામાં કુલ ૨૮ મુદ્દાઓ પરચર્ચા કરવામાં આવી હતી. જે પૈકીનો સાયખા જીઆઈડીસી ખાતેની જમીન જીઆઈડીસને સરેન્ડર કરવાના મુદ્દાને લઈને વિપક્ષના નેતાઓએ ઉંચ રજૂઆતો કરવા સાથે સવાલ-જવાબ કરતાં માહોલ ગરમાયો હતો.
વિપક્ષ નેતા સમશાદ અલી સૈવદે જણાવ્યું હતું કે, શહેરમાંથી દૈનિક ૧૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવાનો હોય છે.ત્યારે સાયખા ખાતે થન કચરાને પ્રોસેસિંગ કરવા માટે પ્લાન્ટ બનાવવા માટે કલેક્ટરમાંથી ૨.૫૦ કરોડ મળ્યાં હતાં. જે જીઆઈડીસીને ચુકવી દેવાયાં છે. જોકે, ભરૂચ નગરપાલિકા બાકીના રૂપિયા ભરી શકતી ન હોવાને કારણે પાલિકાએ જમીન સરેન્ડર કરવાની અરજી કરી છે. જે એક શરમજનક બાબત છે. કોગ્રેસી સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકામાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે. અને વર્ષોથી ભરૂચ શહેરના કચરાના નિકાલની સમસ્યાં છે. જોકે, હજી સુધી તેનું કોઈ સમાધાન હજી સુધી લાવી શકાયું નથી. એ સત્તા પર બેસનારાઓની અણઆવડતની ચાડી ખાય છે. નગરપાલિકામાં ટ્રાફિક, હોકર્સ ઝોન તેમજ પાર્કિંગ સહિતના મહત્વના મુદ્દાઓ પર પણ વિપક્ષે ધ્યાન દોરતાં તે મુદ્દાઓનો સમાવેશ મિનિટ્સમાં કરવામાં આવ્યો હતો.
