સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી
ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાંથી પરપ્રાંતિય લોકો આવીને વસી રહ્યાં છે. ત્યારે શ્રમિક કે અન્ય કોઈ વેશમાં ત્રાસવાદી કે અસામાજિક તત્વો દ્વારા મકાન-દુકાન ભાડે રાખીને શહેરોનો સરવે કરીને સ્થાનિક પરિસ્થિતીઓનો તાગ મેળવી કોઈ પણ અનિચ્છનીય બનાવ કે અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે આવા સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવી શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરપ્રાંતિય ભાડૂઆતો તેમજ શ્રમિકોના વેરિફિકેશન માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડી મકાન-દુકાન માલિકોને તેમના ભાડૂઆતોની તેમજ દરેક કોન્ટ્રાક્ટરોએ તેમના શ્રમિકોની નોંધણી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમ તેમજ જિલ્લાના ૨૫ પોલીસ સ્ટેશનો દ્વારા તેમના વિસ્તારમાં પરપ્રાંતિય ભાડૂઆતો અને શ્રમિકોના વેરિફિકેશનની કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લાં ૨૪ કલાકમાં અલગ અલગ ટીમોએ મળીને જાહેરનારા ભંગના ૨૨૧ ગુનો નોંધી ૨૨૧ લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાં ૧૭૫ મકાન – દુકાન માલિકો સામે જયારે ૪૬ કોન્ટ્રાક્ટરો કે જેઓએ શ્રમિકોની નોંધણી ન કરાવી હતી તેમની સામે ગુના નોંધ્યા છે.
મકાન-દુકાન માલિક, કોન્ટ્રાક્ટરોને તાકીદ પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલશે. ત્યારે પોલીસે જણાવ્યું છે કે, તકેદારીના ભાગરૂપે મકાનો, એકમો તેમજ દુકાનો ભાડે આપતા માલિકોએ મિલકત ભાડે આપતા પહેલાં નિયત ફોર્મમાં ભાડા કરાર કરી તેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવી જરૂરી છે. તેમજ એક કોપી પોતાની પાસે પણ રાખવી. તેજ રીતે એકમના માલિક, એજન્ટ, લેબર કોન્ટ્રાક્ટરોએ પણ તેમના શ્રમિકોની નોંધ ફરજિયાત કરાવવાની રહેશે.
પોલીસે ૩ મહિનામાં ૪૨૮ કેસ કર્યા છે, હજી થશે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ભાડૂઆતો-શ્રમિકોની નોંધણી જરુરી છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા સતત આ ઝુંબેશ ચલાવાઈ રહી છે. છેલ્લા ત્રણ મહિતનામાં કુલ ૪૨૮ કેસ કરવામાં આવ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં પણ પોલીસની આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. અને મકાન-દુકાન માલિકો તેમજ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરાશે.- અનિલ સિસાસ, ડીવાયએસપી, એસસીએસટી સેલ, ભરૂચ.
