બાળકોમાં મેદસ્વિતા અટકાવવા માટે શું કરી શકાય તેના ઉપાયો સૂચવવામાં આવ્યા
ભરૂચ
જિલ્લા આરોગ્ય વિભાગના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) દ્નારા હાયપરટેન્શનથી શરીરને થનારા નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે તા. ૧૭ મે થી તા. ૧૬ જુન સુધી એક મહિનો જનજાગૃતિ અભિયાન સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને દેરોલ, મહુધરા ખાતે તબીબોની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ચેક-અપ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોને હાયપરટેન્શન અંગે જાગૃત કરાયા હતા અને લોકોના સ્વાસ્થય અંતે તકેદારી લેવામાં આવી હતી.

આ તકે, આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોમાં મેદસ્વિતા અટકાવવા માટે શું કરી શકાય તેના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને મોબાઈલ/ટીવી સ્ક્રિન ટાઈમ મર્યાદિત કરવો, તાજા ફળ અને શાકભાજીમાંથી મળતા પોષકતત્વોનું મહત્વ સમજાવવું, આઉટડોર એક્ટિવિટીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા, પેકેટ ફુડ અને જંકફૂડ ન આપવુ, તેલ, ખાંડ, મીઠુ અને મેંદાની માત્રા મર્યાદિત કરવા સહિતની વગેરે બાબતો સમજાવી હતી. આ સિવાય સ્વસ્થ સંતુલિત આહાર લેવુ, સામાન્ય વજન જાળવી રાખવુ, નિયમિત શારીરિક કસરત કરવુ, દારૂ તમાકુનું સેવન બંધ કરવા વગેરે બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વધુમાં, હાયપરટેન્શન સાયલન્ટ કિલર સમાન હોય તેનાથી ચેતવુ જરૂરી છે. હવાનું પ્રદૂષણ અને અપૂરતી ઉંઘથી પણ હાયપરટેન્શનનું જોખમ વધે છે. આહારની ખરાબ આદત, બેઠાડુ જીવનશૈલી, તણાવમાં વધારો વગેરે જેવા કારણોથી હાયપરટેન્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
