આસપાસની કંપનીઓમાંથી લાઇબંબા બોલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ
આગ લાગવાનું કારણ હજી અકબંદ્ધ, દહેજ પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો
ઘટનામાં બેથી ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું ઘટનાસ્થળથી જાણવા મળી રહ્યું છે
ભરૂચ
દહેજની શ્વેતાયન કેમિકલ્સ નામની કંપનીમાં રવિવારે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં કોઇ કારણસર અચાનક બ્લાસ્ટ થયો હતો. જે બાદ કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરવાનું શરૂ કરી દેતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં દહેજ ફાયર વિભાગ તેમજ આસપાસની કંપનીઓમાંથી લાઇબંબા બોલાવવામાં આવતાં તેઓએ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયાસ શરૂ કર્યાં હતાં. આગની જ્વાળાઓએ કંપનીને ચપેટમાં લઇ લેતાં તેમાંથી નિકળતાં ધૂમાડા આકાશમાં ઉંચે સુધી ઉડતા 5થી 7 કીમી દૂરથી પણ આગ લાગી હોવાનું જણાઇ આવતું હતું. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આગમાં એક કર્મચારી દાઝેલી હાલતમાં બહાર દોડી આવ્યો હતો. ઘટનામાં બેથી ત્રણ કર્મચારીઓ દાઝ્યાં હોવાની પણ વિગતો ઘટના સ્થળે સાંપડી રહી છે. ઇજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની કવાયત હાથ ધરાઇ હતી. આગની ઘટનાથી બચવા માટે એક કર્મચારી કંપનીના ધાબા પર દોડી ગયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે તેને ભારે જહેમતે નીચે ઉતાર્યો હતો.
ફેક્ટરી ઇન્સ્પેક્ટર જાગૃતિબેન ચૌહાણે જણાવ્યું હતું કે, ભારત રસાયણ કંપનીની સામે અને ઇન્ડોર રેઝીંગ કંપનીની બાજૂમાં આવેલી શ્વેતાયન કેમિકલ્સ નામના નાના યુનિટમાં આગ લાગ્યાંની માહિતી છે હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. કોઇ દાઝ્યું હોય કે ઘવાયું હોય તેવી વિગત હાલના તબક્કે મળી નથી. જોકે, આગ પર કાબુ મેળવવા સાથે શ્રમિકોની ગણતરી કર્યાં બાદ તે માલુમ પડશે. હાલમાં આગને કાબુમાં લેવા માટેની કવાયતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.
