ભરૂચ કોલેજ રોડ પરની હોટલોએ જાતે દબાણ દૂર કર્યાં
ભરૂચ.
ભરૂચ શહેરમાં ગઇકાલે વહિવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી કસક સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે, ભોલાવ એસટી ડેપો સામે આવેલાં ખેટલા આપા-દ્વારકાધિશ સહિતની હોટલના સંચાલકો તેમજ નજીકમાં જ આવેલાં સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમના સંચાલક દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે એક દિવસની મોહલત માંગી હતી.

દરમિયાનમાં આજે તેઓ દ્વારા જાતે જ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાની કવાયતમાં જોતરાયાં હતાં. ભરૂચના એસડીએમ મનિષા માનાણી તેમજ તેમની ટીમે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. અરસામાં એક જેસીબી દ્વારા સ્વરાજ ટ્રેક્ટર પાસે બનાવાયેલી દિવાલ ક્રેઇન દ્વારા તોડવાની કવાયત ચાલી રહી હતી. તે વેળાં એક તરફ ક્રેઇન દિવાલ તોડી રહી હતી તે વેળાં અચાનક ક્રેઇન જ્યાં ઉભી હતી ત્યાં નીચેની વરસાદી કાંસની ગટરનું કોંક્રિટ તુટી જતાં ક્રેઇન ગટરમાં ફસાઇ ગઇ હતી. ત્યારે બાદમાં ક્રેઇનને યેનકેન પ્રકારે બહાર કાઢવામાં આવી હતી.
