અત્યાર સુધીમાં ૩૫થી વધુ લોકોના નિવેદનો લેવાયા, એજન્સીઓના બેન્ક ખાતા સીઝ કરાશે
। ભરૂચ ।
દાહોદમાં બચુ ખાબડના પુત્રો દ્વારા આચરવામાં આવેલાં મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં પણ ૭.૩૦ કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા મામલામાં તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં ૩૫થી વધુ લોકોના નિવેદનો લેવા સાથે આમોદ તાલુકા પંચાયતના ઈન્ચાર્જ એવા જંબુસરના ટીડીઓનું પણ નિવેદન લીધું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ત્યારે બચુ ખાબડના પુત્રોએ જે રીતે કૌભાંડ આચર્યું હતું તે જ રીતે ભરૂચમાં પણ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે તેઓ એક બીજાથી કોઈ રીતે જોડાયેલાં છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
ભરૂચના ૭.૩૦ કરોડના મનરેગા કૌભાંડની તપાસ પોલીસની SITની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ટીમે ૩૫થી વધુ સંલગ્ન લોકોના નિવેદનો લીધાં છે. જેમાં આમોદ ટીડીઓનો ચાર્જ ધરાવતાં જંબુસર ટીડીઓના નિવેદનો લેવામાં આવ્યાં છે. ઉપરાંત પોલીસે કૌભાંડ આચરનારી વેરાવળની બન્ને એજન્સીઓ જલારામ એન્ટર પ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝના સંચાલકોના મોબાઈલ અને બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાની તેમજ તેમના એકાઉન્ટ સીઝ કરવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે તેમના મોબાઈલના ડેટાની તપાસમાં તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે. તેની વિગતો બહાર આવી શકે છે. નોંધનિય છે કે, વેરાવળની બન્ને એજન્સીઓ કોંગ્રેસના જુનાગઢ લોકસભાના ઉમેદવાર હિરા જોટવાના મેનેજર અને સુપરવાઈઝરને પ્રોપરાઈટર બનાવી ઉભી કરાઈ છે અને તે બાદ બન્ને એજન્સીઓએ કૌભાંડ કર્યું છે તેવા આક્ષેપ આપના ડેડિયાપાડાના ધારાસભ્ય કરી ચૂકયાં છે. ત્યારે દાહોદમાં કૌભાંડ આચરનારા બચુ ખાબડના પુત્રો અને બન્ને એજન્સીઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
જીએસટી વિભાગમાં પણ તપાસ કરાશે વેરાવળની બન્ને એજન્સીઓએ સરકારી તિજોરી સાથે ૭.૩૦ કરોડથી વધુની ઠગાઈ કરી છે. ત્યારે તેઓએ કામગીરીમાં મટિરિયલ વાપર્યું હોવાના જરૂરી પુરાવા રજૂ કર્યા હશે તેમાં જીએસટી ભરવાની પ્રક્રિયા પણ હશે તો તેમાં પણ તેમણે કોઈ કૌભાંડ આચર્યું છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે જીએસટીમાંથી તેમના સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યાં છે.
ધારાસભ્યના ગામમાં કૌભાંડ થાય તો બીજે જોવુ રહ્યું હાંસોટ-અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે મનરેગા કૌભાંડને લઈને જણાવ્યું હતું કે, આ બન્ને એજન્સીઓ કોંગ્રેસના કાર્યકરોની છે. ત્યારે વર્ષ ૨૦૨૩માં મનરેગાના કામમાં થઈ રહેલાં ભષ્ટાચારને લઈને અનેક રજૂઆતો કરી હતી. જોકે, કોઈ તપાસ થઈ ન હતી. હું તપાસ માટે અવાજ ઉઠાવતો ત્યારે મને વિરોધી કહીને મામલો દબાવી દેતાં હતાં. ધારાસભ્યના ગામમાં જ જો કૌભાંડ આચરવામાં આવ્યું હોય તો અન્ય ગામોમાં કેટલું થયું હશે તેની કલ્પના ન કરી શકાય. SITની ટીમ નિષ્પક્ષ તપાસ કરે તો મોટામાથાઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.
