બન્ને એજન્સીના સંચાલકો ઝડપાય તો ભરૂચના મોટા અધિકારીઓ-પદાધિકારીઓના નકાબ ખુલશે
ભરૂચ.
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં થયેલાં કુલ ૭.૩૦ કરોઠના મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની SIT ટીમની તપાસનો ધમધમાટ ચાલું છે. ત્યારે પોલીસે દ્વારા કોન્ટ્રાક્ટરો, પંચકેસમાં સહિઓ કરનારા પંચ સહિતના ૩૫થી વધુ લોકોના નિવેદનો લીધાં છે. ત્યારે હવે ત્રણેય તાલુકાઓમાં આવેલા ગામો કે જયાં રોડ રસ્તાના કામોમાં ગેરરીતિ થઈ છે ત્યાંના તલાટીઓના નિવેદનો લેવાની શરુઆત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ પકડથી બચવા માટે ફરતાં બન્ને એજન્સીઓના સંચાલકો પોલીસ સકંજામાં આવે તો તેમની પુછપરછમાં કૌભાંડમાં ભાગ ભજવનારા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓના નકાબ ખુલે તેવી શક્યતાઓ છે.
ભરૂચના મનરેગા કૌભાંડમાં પોલીસ દ્વારા બનાવાયેલી SIT ની ટીમ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ટીમ દ્વારા આરોપીઓને સકંજામાં લેતાં પહેલાં તમામ જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.જેના ભાગરુપે આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકાના ગામોમાં થયેલા મનરેગાના કામોમાં ભષ્ટાચારની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. પોલીસે કોન્ટ્રાક્ટરો, કામ થયાંના પંચકેસમાં સહિંઓ કરનારા પંચ તેમજ ત્રણેય તાલુકાના ટીડીઓના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હતી. જેના પગલે ત્રણેય તાલુકાના ટીડીઓને સમન્સ પણ પાઠવવામાં આવ્યાં હતાં. ત્રણેય તાલુકા પૈકી આમોદ અને હાંસોટના ટીડીઓ તેમજ અન્ય સંબંધિત કર્મચારીઓ સહિત ૩૫થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યાં છે.ત્યારે હવે ત્રણેય તાલુકાના ગામોના તલાટીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. હાલના તલાટીઓના નિવેદનો સાથે તત્કાલિન તલાટીઓની જવાબદારીઓ નકકી કરવામાં આવશે. જે બાદ તત્કાલિન તલાટીઓના નિવેદનો લેવામાં આવશે. બીજી તરફ કૌભાંડ આચરનારી બન્ને એજન્સીઓના સંચાલકોની પરપકડ પર લોકોની મીટ મંડાઈ છે. તેમની ધરપકડ થાય તો મનરેગા કૌભાંડમાં ભરૂચના સ્થાનિક રાજકિય આગેવાનો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓના ચહેરા પરના નકાબ ઉતરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
નાની નાની વાતે ભલામણ કરનારા નેતાઓ અંડર ગ્રાઉન્ડ થઈ ગયાં ભરૂચ શહેરમાં કે જિલ્લામાં નાની મોટી કોઈ બબાલ થાય તો કેટલાંક નેતાઓ પોલીસને ફોન કરી કરીને ભલામણો કરતાં હોય છે અને મામલો શાંતીથી પતી જાય તે માટે રજૂઆત કરતાં હોય છે. ત્યારે આ મામલામાં કોઈ નેતાન આગળ આવવા તૈયાર થઈ રહ્યો નથી. આ મામલામાં ભલામણ કરવા જાય તો ફસાઈ જવાની બીક અને નિષ્પક્ષ તપાસ કરવા કહેવા જાય તો પોતાના જ પક્ષના લોકો લપેટામાં આવી જાય તેવી ભિતીને કારણે આવા નેતાઓ હાલમાં અંડર ગ્રાઉન્ડ થઈ ગયાં હોવાનું રાજકિય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
