તપાસ માટે SIT તેમજ તટસ્થ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની કોંગ્રેસની માંગ
ભરૂચ.
ભરૂચ જિલ્લાના અમોદ તાલુકા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળ નકલી કામગીરી દર્શાવી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ સંબંધિત FIR નં. 11199010250, તારીખ 30.05.2025 A ડિવિઝન પોલીસ સ્ટેશન, ભરૂચ ખાતે નોંધાઈ ચૂકી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું કે, “આ સમગ્ર કૌભાંડ પહેલા થીજ તંત્રની જાણમાં હતું. મારી તરફથી તા. 19.05.2023ના રોજ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર તથા અન્ય અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાં અત્યાર સુધી કોઈ ગંભીર કાર્યવાહી હાથ ધરાઈ નથી.”
તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે, “ભાજપ સાથે જોડાયેલા કેટલાક મોટા નેતાઓની સંડોવણીને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. હાલમાં તપાસમાં ભ્રમ અને ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.”

કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક નીચે મુજબની ત્રણ મુખ્ય માંગણીઓ રજુ કરવામાં આવી છે:
કોંગ્રેસની સ્પષ્ટ માંગણીઓ: 1.આ કેસમાં ન્યાયિક તપાસ માટે SITની રચના કરવામાં આવે અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ કરવામાં આવે. 2.આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.આઈ. ઘારિયાની નિમણૂક કરવામાં આવે, જે તટસ્થ અને બાહોશ એડવોકેટ છે. 3.હાલના જીલ્લા પબ્લિક પ્રોસિક્યુટર (PP) ને તાત્કાલિક આ કેસમાંથી દૂર કરવામાં આવે, કારણ કે તેઓ ભાજપના નેતાઓને બચાવવાનું રાજકીય કાર્ય કરી રહ્યા છે.
સંદિપ માંગરોલાએ વધુમાં કહ્યું કે જો રાજ્ય સરકાર યોગ્ય પગલાં નહીં લે તો કોંગ્રેસ પક્ષ રાજ્યપાલશ્રી તેમજ ન્યાયિક મંચ સમક્ષ આ કેસની ન્યાયિક તપાસ માટે તાત્કાલિક અરજી કરશે.
