Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ક્રેશ થયેલા પ્લેનમાં ભરૂચના ૩ અને સાંસરોદના ૨ જણા બેઠા હતા

Share

અમદાવાદથી લંડન જતુ પ્લેન ટેકઓફ સાથે જ ક્રેશ થયુ

જંબુસરના સારોદનો યુવાન વર્ક પરમીટ પર લંડન જવા નીકળ્યો હતો

Advertisement

ભરૂચના અલ્તાફભાઈ સાંસરોદ ખાતે રહેતા તેમના સાસુ-સસરા સાથે લંડન જઈ રહ્યા હતા

ભરૂચની અલમીના સોસાયટીની મહિલા પુત્રીને મળવા લંડન જવા પ્લેનમાં બેઠા હતા

ભરૂચ.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરાપોર્ટ પરથી લંડનના ગેટવિક જવા માટે ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની AI ૧૭૧ કફ્લાઈટ ટેકઓફ થવાના તુરંત બાદ ક્રેશ થવાની ઘટનાથી રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે પ્લેનમાં ૧૨૮ પુરુષ અને ૧૧૪ મહિલાઓ મળી કુલ ૨૪૨ લોકો મુસાફરી કરી રહ્યાં હતા. પ્લેનક્રેશમાં મૃત્યુ પામનારની હજી ઓળખ થઈ નથી. ત્યારે તેમાં ભરૂચ જિલ્લાના ૩ અને સાસરોદના બે સહિત ૫ જણાના પણ પ્લેનમાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

લોકોના હૃદયને કંપાવી નાખનારી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના લોકોના પણ મોત થયાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી અનસુસાર વાગરા તાલુકામાં આવેલાં કોલવણા ગામના વતની અને હાલમાં ભરૂચના મુમતાજ પાર્ક ખાતે રહેતાં અને યુકે સ્થાયી થયેલાં અલ્તાફ ઈસ્માઈલ પટેલ ઈદના તહેવારમાં ભરૂચ તેમના પરિવાજનોને મળવા માટે આવ્યાં હતાં. કરજવા તાલુકાના સાંસરોદ ગામે તેમની સાસરી હોઈ તેમજ તેમના સાસુ સસરા કે જેઓ યુકે સ્થાયી થયાં હતાં તે પણ તેમના વતન આવ્યા હતા.દરમિયાનમાં આજે ગુરુવારે અલતાફ પટેલ તેમજ તેમના સાસુ-સસરા તાજુ આદમ અને તાજુ હસીના એમ ત્રણ જણા લંડન જવા માટે એર ઈન્ડિયાના AI ૧૭૧ પ્લેનમાં બેઠા હતાં.

બીજી તરફ ભરૂચ શહેરમાં આવેલી અલમીના સોસાયટીમાં રહેતાં અને મુળ કાવીના વતની સલીમ મિસ્ટર કાવીવાલાની પુત્રી લંડનમાં રહે છે. દરમિયાનમાં તેમની પત્ની સાજેદા સલીમ મિસ્ટર તેમની પુત્રીને મળવા માટે લંડન જવાનું હોઈ તેઓ પણ આ જ પ્લેનમાં બેઠાં હતાં. જ્યારે જંબુસરના સારોદ ગામે રહેતાં અને ભાજપના અગ્રણી નેતા સલીમ ઈબ્રાહિમ પટેલ (ગડ્ડુ) નો પુત્ર બે વર્ષના વર્ક વિઝા આવતાં તે કામ કરવા માટે જઈ રહ્યો હતો. તેણે પણ આ જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. અત્યાર સુધીમાં ૧૨૦થી વધુ લોકોના મૃત્યુની પૃષ્ટી થઈ છે. ભરૂચના ત્રણ અને સાંસરોદના બે જણા અમદાવાદથી લંડન જવા પ્લેનમાં બેઠા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં મુસાફરોના પરિવારજનો તુરંત અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા છે. એક તરફ ૧૨૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે પરિવારજનો તેમના સ્વજનોને લઈને વ્યથિત થયા છે.

પ્લેનમાં ખામી હતી તો ઉતારી લેવુ હતુ

જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલ ઉર્ફે ગડ્ડુનો પુત્ર સાહિલ પણ આ પ્લેનમાં સવાર હતો. તેની માતાએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, હજી તો અમે તેને અમદાવાદ છોડીને ઘરે આવ્યા છીએ અને એક કોળીયો મોમા મુક્યો અને આ ઘટનાની જાણ થઈ. પ્લેનમાં ખામી હતી તો ઉતારી લેવુ હતુ, અમે પૈસા પાછા થોડા માંગત, પ્લેનવાળાઓની ભૂલના કારણે મેં મારો જવાનજોધ પુત્ર ગુમાવ્યો તેવી હૈયાવરાળ સાહિલની માતાએ કાઢી હતી.
ભરૂચની અલમીના સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યુ

અલમીના સોસાયટીના સલીમ મિસ્ટર (કાવીવાલા)ની પત્ની તેમની લંડન ખાતે રહેતી પુત્રીના ઘરે જવા આ પ્લેનમાં બેઠા હતા. દરમ્યાન દુર્ઘટના થતાં તેમનો પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. સલીમ મિસ્ટર તેમજ તેમના સંબંધીઓ તુરંત અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં તેમના સગા-સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘટનાને લઈને અલમીના સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
અલ્તાફ નાના ભાઈના હૃદયદ્રવ્ય વાક્ય, અંદર મારો ભાઈ છે. મને જવા દો

અમદાવાદ પ્લેન ક્રેશ થવાની ઘટનાથી રાજયભરમાં ઘટનાને લઈને ભારે શોકની લાગણી ફેલાઈ છે ત્યારે ઘટના સ્થળે સર્જાયેલી સ્થિતિ તેમજ મૃતકોના આંકદથી પત્થર દિલ પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચથી લંડન જવા નીકળેલા અલ્તાફભાઈ પટેલ આ પ્લેનમાં હોઈ તેમની પરિવાર પણ તુરંત અમદાવાદ પહોંચી ગયો હતો ત્યારે અલ્તાફભાઈના નાના ભાઈ મોહસીન પટેલ ત્યાં હાજર લોકોને પોતાના ભાઈ પાસે જવા દેવા માટે અને જોવા દેવા માટે કાકલુદી કરી રહ્યો હતો ભાઈને શું થયુ હશે તે વિચારીને રડમસ થયેલા મોહસીન પટેલે અંદર મારો ભાઈ છે મને જવા દો તેમ કહી કરગળી રહ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતા.


Share

Related posts

ઝઘડીયાના ઉમલ્લાના ૫૧ વર્ષિય આધેડના વિવિધ અંગોના દાનથી ૩ વ્યક્તિઓને જીવનદાન મળશે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો…

ProudOfGujarat

મહેમદાવાદના રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરીનાર ચાર સામે ફરીયાદ, ત્રણની ધરપકડ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!