ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા રોડ – રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યાં છે. ત્યારે વાગરાની વિલાયત જીઆઇડીસીથી દેરોલ ગામ વચ્ચે રસ્તાના વિસ્તરણીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે હાલમાં સિંગલ ટ્રેક પર વાહન વ્યવહાર ચાલીરહ્યો છે.ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઇ જતાં વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફિકનો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે.

વિલાયત જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓને લાવવા લઇ જવા માટેના વાહનો તેમજ કંપનીઓમાં રો-મટિરીયલ તેમજ ઉત્પાદનોની હેરાફેરી કરતાં વાહનોની આ રોડ પર અવર જવર વધારે હોય છે. ત્યારે સામાન્ય દિવસોમાં પણ આ માર્ગ પર સતત વાહન વ્યવહાર ચાલુ હોય છે. જોકે, વરસાદની મોસમમાં રોડ પર પાણી ભરાવા સાથે ચાલુ વરસાદમાં અકસ્માત ન સર્જાય તે માટે વાહન ચાલકો તેમના વાહનો ધીમા ચલાવતાં હોવાથી આ રોડ પર ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ટ્રાફિકના કારણે કંપનીઓના કર્મચારી નિયત સમયે નોકરીએ જઇ શકતાં નથી. બીજી તરફ આ રોડ પર આવેલાં અન્ય ગામના લોકોને પણ અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા રોડનું કામ તાકીદે પુર્ણ થાય તેવું આયોજન કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
