ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા પાટિયા પાસે બનેલી ઘટના
ભરૂચ.
વાલિયાના મસ્જીદ ફળિયા ખાતે રહેતાં રમશે ભીખાભાઇ વસાવાનો મોટો પુત્ર અનિશ ભરૂચના હલદર ગામે કામ અર્થે ગયો હતો. દરમિયાનમાં રવિવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં અનિશના મિત્રનો રમેશ વસાવા પર ફોન આવ્યો હતો.. તેણે જણાવ્યું હતું કે, તે અને અનિશ બન્ને બાઇક પર વાલિયા આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં લુવારા ગામના પાટિયા પાસેથી પસાર થતાં સમયે એક કન્ટેઇનર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે તેનું કન્ટેઇનર હંકારી લાવી તેમની બાઇકને પાછળથી ટક્કર મારતાં તે બાઇક સાથે રોડની સાઇડમાં ફંગોળાઇ ગયો હતો. જ્યારે અનિશ રોડ પર પટકાયો હતો. દરમિયાનમાં કન્ટેઇનરનુ ટાયર તેના પર ફરી વળતાં તેનું મોત નીપજ્યું છે. જેથી તેઓ તુરંત તેમના સગાસંબંધીઓ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. ઘટનાને પગલે તેમણે નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર કન્ટેઇનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત શરૂ કરી હતી.
