ભરૂચના અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજની મહિલાના ઘરમાં ઘુસી મારઝૂડ કરવાનો મામલો
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં અંગારેશ્વર ગામે રહેતાં જગદિશ સોલંકીના પત્ની અને પુત્ર ગત 12મી ઘરમાં એકલી હતી. તે વેળાં વાગરાના ખોજબલ ગામના તોસીફ માનસંગ રાજે તેના 10-12 સાગરિતો સાથે જેસીબી લઇ આવી તેમના ઘરની દિવાલો તોડી નાંખી હતી. તેમણે ફોનથી પોલીસ તેમજ અન્ય લોકોને જાણ કરવા છતાં લાંબા સમય સુધી પોલીસ સ્થળ પર નહીં આવતાં તોસિફ અને તેના સાગરિતોએ ભયનો માહોલ ઉભો કર્યો હતો. ઘટનાને પગલે વાલ્મિકી સમાજના લોકો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. તેમજ ઘટનાને પગલે પોલીસે આરોપી સામે સામાન્ય કલમો લગાવી હોઇ તોસીફ રાજ અને તેની સાથેના 10-12 જણા સામે જાનથી મારી નાંખવાની કોશિષ કરવાની બીએનએસની કલમ 109 નો ઉમેરો કરવામાં આવે તેવી માગ કરી હતી. ઉપરાંત ગંભીર એસસી, એસટી એક્ટનો ઉલ્લખન કરવા સહિત ગંભીર કલમોનો ઉમેરો કરવા સાથે કોર્ટના મનાઇ હુકમની અહેવલાન કરવી, અગાઉના કેસમાં અને હાલના કેસમાં તેમાં જામીન રદ કરવા તેમજ જેસીબી મશીન અને તેના માલિક સામે પણ યોજના બદ્ધ રીતે કરાયેલાં ગુનામાં આરોપી બનાવવામાં આવે તેવી માગ કરી હતી.
નોંધનિય છે કે, પરિવારને ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદન આપવા માટે વાલ્મિકી સમાજના તેમજ અન્ય હિન્દુઓ એકત્ર થયાં હતાં. ત્યારે નોંધવું રહ્યું કે, તેમાં મોટાભાગના લોકો ભાજપ સાથે સંકળાયેલાં હોવા સાથે તે પૈકીના કેટલાંક નાના-મોટા હોદ્દા પર કાર્યરત હોવા છતાં તેઓ આવેદન પત્ર આપવા માટે સાથે ઉભા રહ્યાં હતાં. જોકે, આ સમયે ભાજપમાં તેઓને તેમના જ સમાજના લોકોને યોગ્ય ન્યાય મળે આવેદન પત્રો આપવા પડે તે વાતને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં. ભાજપ સંગઠનમાં તેઓના સમાજના લોકો માટે યોગ્ય અને સમયસર ન્યાય અપાવવામાં તેઓ ઉણા ઉતરી રહ્યાં હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.
