માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી પણ ગણાતાં નથી : નીરૂ આહિર
ભરૂચ.
ભરૂચ જિલ્લાની આંગણવાડી અને તેડાધરની બહેનોને બીએલઓની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતાં તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે આંગણવાડી-તેડાઘર બહેનોએ એકત્ર થઈ બેએલઓની કામગીરીનો વિરોધ કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે આંગણવાડી અને તેડાધરની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. તેમજ બીએલઓની કામગીરી સોંપવાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ એકત્ર થયેલી આંગણવાડી અને તેડાઘરની બહેનોએ જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં માનદ વેતન પર ફરજ બજાવતી બહેનોને દબાણપૂર્વક બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે. જોકે આંગણવાડી કેન્દ્ર સંબંધિત કામગીરી કરતી બહેનો માનદ વેતન સાથે ફરજ બજાવે છે. રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોની વર્કર અને તેડાઘર બહેનોને નિયમિત સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવતાં નથી. હાઈકોર્ડનો ચૂકાદો છે કે, આંગણવાડી કેન્દ્રોની બહેનોને આંગણવાડી કેન્દ્ર સંબંધિત સિવાયની કામગીરી સોંપવા સામે મનાઈ ફરમાવી છે. છતાં પણ તેમના પર બીએલઓની કામગીરી માટે દબાણ કરાય છે.
