ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતોમાં આયોજન કરાયું
૧૦ વર્ષથી જુના ૧૦ કેસોમાં સુખદ સમાધાન
ભરૂચ .
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે.દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી પી.પી.મોકાશીના સંચાલન હેઠળ તા. ૧૨-૭-૨૫ ને શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. લોક અદાલત ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સાથી ન્યાયધીશોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં ભરૂચ હેડ કવાર્ટરના ન્યાયાધીશો, વકીલ બારના હોદ્દેદારો, સરકારી વકીલો, ન્યાયખાતાના કર્મચારીઓ તથા ડી.જી.સી.વી.એલ. બેન્કો અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતો દ્વારા પેન્ડીંગ અને પ્રી-લીટીગેશન કેસોના કુલ મળી ૩૮૩૨૦ કેસો નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા જેમાં લોક અદાલતમાં અંતે કુલ ૨૩૫૫૯ કેસોનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ મળી વિક્રમી રૂ.૨૪,૮૯,૧૨,૯૪૬/- સેટલમેન્ટ રકમના વ્યવહારોનો સુખદ નિકાલ અદાલતો દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં આ લોક અદાલતમાં અલગ અલગ અદાલતોમાં ૧૦ વર્ષથી જુના કુલ ૧૦ કેસોમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સુખદ સમાધાન થતા જુના કેસો પણ નિકાલ કરવામાં આવ્યો. જાહેર જનતા અને પક્ષકારો પોતાના કાનુની અધિકારો વિશે જાગૃત થાય તે હેતુથી લોક અદાલતના દિવસે તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિઓ દ્વારા જિલ્લાની તમામ કોર્ટ પરીસરમાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
