ભરૂચ ક્ષત્રિય સમાજે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ
રાજકિય કિન્નાખોરીમાં સામાન્ય કેસને મોટું સ્વરૂપ આપી કાર્યવાહી કરાઈ
ભરૂચ.
ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી. જાડેજા સામે પાસા એક્ટ હેઠળ કરી ધરપકડ કરવામાં આવી હોવાની ઘટનાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા તેઓ ભારે વિરોધ કર્યો છે. જેના ભાગરૂપે ભરૂચમાં પણ ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપીને તેમની સામે રાજકિય કિન્નાખોરીમાં કાર્યવાહી કરાઈ હોવાથી તેમના પર લગાવેલી પાસાની કલમ હટાવી તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે.
ભુતકાળમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલાં અને હવે સિનિયર સિટીઝન તરીકે લોકસેવાઓ કરતાં અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી. ટી. જાડેજા વિરુદ્ધ પોલીસે પાસેા હેઠળ કાર્યવાહી કરી તાત્કાલિક તેમને સાબરમતી જેલમાં મોકલી દેવાની ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચના ક્ષત્રિય સમાજે સોમવારે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સમગ્ર ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કરવા સાથે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકોએ અમરનાથ મહાદેવ મંદીર પર ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરતાં તેમણે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાના સામાન્ય કેસને પોલીસે ખોટું અર્થઘટન કરી તેમની સામે કેસ કર્યો હતો. જે કેસ જામીન પાત્ર હોવા છતાં તેમની સામે પાસાની કાર્યવાહી કરી છે. ઉપરાંત તેમણે આપેલી ફરિયાદ પણ લેવામાં આવી નથી. ત્યારે પોલીસે કોઈક તત્વોના ઈશારે એકતરફી વર્તન કરવામાં આવ્યું છે. રાજકિય કિન્નાખોરી રાખીને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી તેમની સામેનો પાસાનો હુકમ તુરંત પરત ખેંચી તેમને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજે કરી છે.
