ભરૂચ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય રાજમાર્ગો અને બ્રિજોની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં આવેલી મહત્વપૂર્ણ ઢાંચાકીય સુવિધાઓ, જેમ કે રસ્તા અને બ્રિજોની અત્યંત નબળી હાલત અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. અનેક સ્થળોએ રાષ્ટ્રીય રાજમાર્ગો અને બ્રિજ ક્ષતિગ્રસ્ત બની વાહન વ્યવહાર માટે અયોગ્ય બની ગયા છે, જેને કારણે નાગરિકો તેમજ ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા-બ્રિજની બદતર સ્થિતિને કારણે ભારે વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરવો પડ્યો છે, જેનાથી સ્થાનિક વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રથી આવનારા પ્રવાસીઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પર્યટકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સાંસદ અને ધારાસભ્યએ કેન્દ્રીય મંત્રીને તમામ જરૂરી દસ્તાવેજો સાથે રજૂઆત કરીને વિસ્તૃત સમીક્ષા કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવા વિનંતી કરી છે.
ખરાબ બ્રિજ અને માર્ગોની વિગતો: - એન.એચ. 64 પર આવેલ ઢાઢર બ્રિજ, નાહિયાર, તણછા અને ભુખી ખાડી બ્રિજ અત્યારે જર્જરિત હાલતમાં છે. - એન.એચ. 753બી પર નેત્રંગથી ડેડીયાપાડા અને સાગબારા સુધીના રસ્તામાં આવેલો 60 વર્ષ જૂનો બ્રિજ પણ ખૂબ જ નબળી સ્થિતિમાં છે. - ડેડીયાપાડા પ્રવેશદ્વાર પરનો નાનો બ્રિજ પણ ખસ્તા હાલતમાં છે. - એન.એચ. 56 (બી): નેત્રંગથી મોવી સુધીનો આશરે 15 કિલોમીટરનો માર્ગ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ચૂક્યો છે. - આમોદના વિસ્તારમાં NH-64 પર આશરે 300-400 મીટર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. - રાજપીપળા રોડ પર ચાસવાડ, મોઝા, કોચવર, કુંડ અને કાકુરીપાડા વિસ્તારોમાં આવેલા નાના-મોટા બ્રિજ પણ બંધ હાલતમાં છે.
