ભરૂચ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ આજે સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યો કે રાજ્યની વિવિધ સહકારી બેંકોમાં વર્ષોથી ચાલતી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ (BR Act) કાયદા ના ઉલ્લંઘન સામે RBI સહિત કેન્દ્ર સરકારને અનેક લેખિત રજૂઆતો બાદ પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.
તેમણે કહ્યું કે, “એક બાજુ કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થામાં સુધારાની વાતો કરે છે અને બીજી બાજુ ગુજરાતની સહકારી બેંકોને ભાજપના રાજકીય હિત માટે રક્ષણ આપતું RBI બન્યું છે.”
2025 માં જાહેર થયેલું Banking Laws (Amendment) Act, જે 1 ઓગસ્ટ 2025થી લાગુ પડશે, તેમાં સહકારી બેંકોના નિર્દેશકો માટે (સંપૂર્ણકાલિન અને અધ્યક્ષ સિવાય) અધિકતમ કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે.
પણ આ સુધારો આગામી સમય માટે છે, એટલે કે જેમના કાર્યકાળ 1 ઓગસ્ટ 2025 સુધીમાં જ 10 વર્ષ પૂરા થઈ ગયા છે, તેઓ BR Act મુજબ પાત્ર નથી અને તેમનો હોદ્દો ગેરકાયદેસર છે. એ બાબતે માંગરોલા એ કાર્યવાહી કરવા આરબીઆઈ સમક્ષ રજૂઆત કરી છે.
માંગરોલા એ જણાવ્યું કે તેઓએ છેલ્લા બે વર્ષથી અનેક લેખિત રજૂઆતો આરબીઆઈને કરી છે, છતાં માત્ર પંચશીલ કો-ઓપ બેંક જેવી ઘટનામાં પ્રતિકાત્મક કાર્યવાહી કરીને મોટા નેતાઓને છાવરી દેવામાં આવ્યા છે. તેમણે તીવ્ર શબ્દોમાં કહ્યું હતુ કે, “આ સહકારી બેંકો ભાજપના હિતોના પાવર સેન્ટર બની ગયા છે, જ્યાં લોકધનનું શોષણ થઈ રહ્યું છે અને નિયમો માત્ર કાગળ પર જ બાકી રહ્યા છે.” અમારી રજૂઆતને પગલે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલો રાજ્યસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. તેમ છતાં સરકાર અને RBIની ઉદાસીનતા ચિંતા ઊભી કરનારી છે.
“જો RBI તુરંત કાયદેસર કાર્યવાહી નહીં કરે, તો કોંગ્રેસ આ મુદ્દે જાહેર જનમાનસ સાથે લડીને લોકોને ન્યાય અપાવશે. જરૂર પડે તો આ મુદ્દો કોર્ટે લઈ જવામાં આવશે.” એમ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે
