ભરૂચ.
ભરૂચની મામલતદાર કચેરી પાછળ સોનતલાવડી ઝૂપડપટ્ટી પાસે રહેતાં રવિ જગદિશ વાઘેલા શક્તિનાથ સર્કલ પાસે શાકભાજીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 8મી ઓગષ્ટે તેમણે રાત્રીના નવેક વાગ્યે લારી બંધ કરી સામાન લારીની નીચે મુકી તેની લારી બેન્ક ઓફ બરોડા ગ્રામિણ બેન્કની બાજુમાં લોક મારી મુકી ઘરે ગયો હોત. બીજા દિવસે તે રક્ષાબંધન નિમિત્તે બહાર ગામ ગયો હતો. જે બાદ 12 ઓગષ્ટે સવારે 9 વાગ્યાના અરસામાં તે નિત્યક્રમ મુજબ તેની લારી લેવા જતાં તે મળી ન હતી. તેણે અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવા છતાં તેની લારી મળી ન હતી. દરમિયાનમાં તેની સાથે સાથે સંગીતાબેન હિયાવત, પ્રવિણ વસાવા, મહેશ દેવીપુજક, જીજ્ઞેશ ઘીવાલા તેમજ રાજુ વસાવા નાના અન઼ય પાંચ જણાની મળી કુલ 10 લારીઓ ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ દરમિયાનમાં તેમને માહિતી મળી હતી કે, ડભોઇયાવાડ વિસ્તારમાં રહેતો જાવેદ ઇબ્રાહિમ કાવ તેમજ સઇદ ફતેહ ગાંઠવાલા તેમની લારીની ચોરી કરી ગયાં છે. જેથી રવિએ તે બન્ને વિરૂદ્ધ 10 હજારની એક એમ કુલ 1 લાખની મત્તાની 10 લારીઓની ચોરી કર્યાની શંકાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
