ભોઈ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી
ભરૂચ
ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૨૫૦ કરતા વધુ વર્ષથી પરંપરાગત મનાવાતા છડી અને મેઘરાજાના ઉત્સવની દબદબાભેર પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાવભેર મેઘરાજાની શાહી સવારી નગરમાં નીકળી હતી.
એકમાત્ર ભરૂચ શહેરમાં શૈકાઓથી પરંપરાચત રીતે સમસ્ત ભોઈ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજાની માટીની કલાત્મક આકર્ષક પ્રતિમા બનાવી મેઘરાજા તેમજ છડી ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. આ વરસે પણ શ્રાવણ વદ સાતમથી મોટા ભોઈવાડ સ્થિત મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી શ્રાવણ વદ દસમ સુધી તેમની પૂજા અર્ચના ભક્તિભાવ પુર્વક કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી મેઘરાજાને બિરાજમાન કર્યા બાદ સોમવારની સાંજના મેઘરાજાની ભવ્ય સવારીની નગરચર્યા ધામધૂમથી કાઢવામાં આવી હતી, મોટા ભોઈવાડ સોનેરી મહેલથી નીકળેલી મેધરાજાની શોભાયાત્રા અને મેઘરાજાના મેળામાં લોક મેળાવડો મહાલવા ઉમળકાભેર ઉમટી પડયો હતો.
મેઘરાજાની મોટા ભોઈવાડથી સોનેરી મહેલથી નીકળેલી શોભાયાત્રા તેના નિયત માર્ગ પર ધુમી નર્મદા નદીમાં આનંદ અને ઉત્સાહભેર મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મેઘરાજાની ભવ્ય શોભાયાત્રામાં ચિક્કાર જનમેદની મેઘરાજાના દર્શનથી તેમજ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમાં સાથે ભેટાવવા ઉમટી પડી હતી. મેઘરાજાની શાહી સવારી જે જે સ્થળેથી પસાર થઈ ત્યાંથી શ્રધ્ધાળુઓ દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ હતુ. મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતિ સાથે જ આજે ચાર દિવસના ભાતીગળ મેળાની પણ પુર્ણાહુતિ થઈ હતી.
