હત્યારાના પગેરું શોધવા માટે પોલીસે ૧૦થી વધુ ટીમો બનાવી
ભરૂચ.
ભરૂચના નંદેલાવ ગામે આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં અને કેટરર્સનો વ્યસાય કરતાં પકાશ માલિનીને તેમના જ ઘરમાં હાથ-પગ, મોઢું બાંધી હત્યા કરી ઘરમાં લૂંટ કરવાની ઘટનામાં પોલીસ હત્યારાઓના પગેરૂ શોધવામાં જોતરાઈ છે. એ ડિવિઝન પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા હત્યારાઓનો તાગ મેળવવા માટે અલગ અલગ ૧૦થી વધુ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે, હત્યાના કારસામાં તેના ત્યાં કામ કરતાં બે કામદારો શંકાના દાયરામાં હોવાથી પોલીસ તેમના પણ સગડ મેળવવા યુપી સુધી એક ટીમ મોકલી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભરૂચ શહેરને અડીને આવેલાં નંદેલાવ ગામની આશિર્વાદ સોસાયટીમાં રહેતાં પ્રકાશ માલિની છેલ્લાં ૨૦ વર્ષથી ભરૂચમાં સ્થાયી થયાં હતાં. તેમજ તેઓ કેટરર્સનો વ્યવસાય કરતાં હતાં. દરમિયાનમાં ગત શનિ-રવિની રાત્રે તેમના ઘરમાં પ્રવેશેલાં હત્યારાઓએ તેમના હાથ-પગ તેમજ મોઢું બાંધીને ઘરમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયાં હતાં. રવિવારે સવારે ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં તેમનું મોત થયું હોઈ લૂંટારાઓએ તેમનું મોઢું બાંધ્યું હોઈ ગુંગળાઈ જવાને કારણે કે પાછી લૂંટારૂઓએ તેમનું ગળુ દબાવી હત્યા કરી હોવાને કારણે તેમનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ઘરમાં પ્રવેશ કરવા માટે કોઈ સ્થળે તોડફોડ કરી હોય તેવા હોઈ ચિન્હો દેખાયાં ન હોવાને કારણે હત્યારાઓ કોઈ જાણભેદુ હોવાની પ્રાથમિક શંકા પોલીસે વ્યક્ત કરી છે. ત્યારે તેમના ત્યાં યુપીના બે યુવાનો કામ કરતાં હતાં. તે ઘટનાના દિવસથી ગાયબ હોવાને કારણે તેઓ શંકાના દાયરામાં આવ્યાં છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. હાઈવેના તમામ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. ત્યારે અંગે કારીગરો શંકાના દાયરામાં હોવાથી તેમને પકડવા માટે એક ટીમ ઉત્તરપ્રદેશ ગઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
૭૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હત્યા અને લૂંટને અંજામ આપનારાઓએ ઘરમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ચોરી કરી ગયાં હતાં. જોકે, હત્યારાઓના સગડ મેળવવા માટે પોલીસે હાઈવે પરના, ટોલનાકાઓ પરના તેમજ અન્ય સાર્વજનિક રથળો કે જ્યાંથી હત્યારાઓની ગતિવીધીની જાણ થઈ શકે તેવા સ્થળો પર લગાવેલાં ૭૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે તપાસ્યાં છે.
ગોલ્ડન ચોકડીથી આરોપીઓ બીજા વાહનમાં બેઠાં ! ભરૂચના કેટરર્સની હત્યા કરનારાઓએ લુંટ વીથ મર્ડરની વારદાતને અંજામ આપ્યાં બાદ તેમની ઈકો કાર પણ લઈ ગયાં હતાં. પોલીસની તપાસનો દોર શરૂ થતાં ચોરાયેલી ઈકો કાર વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી. ત્યારે હત્યારાઓ કાર ત્યાં મુકીને અન્ય કોઈ વાહનમાં બેસીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયાં હોવાનું અનુમાન છે.
માલિકની હત્યા પુર્વઆયોજિત કાવતરૂ હોવાની આશંકા પોલીસ દ્વારા હત્યારાઓ પગેરૂ મેળવવા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રકાશ માલિનીના ત્યાં યુપીનો રાજુ નામનો એક શખ્ય પહેલાં કામ કરતો હતો, જે 6 મહિના પહેલાં જતો રહ્યો હતો. જે બાદ તે અન્ય એક કારીગર સાથે તાજેતરમાં જ પરત આવ્યો હતો. હત્યાના દિવસથી તેઓ બન્ને ગાયબ હોઈ તેઓ શંકાના દાયરામાં છે. ઉપરાંત લૂંટ વીથ મર્ડરના કારસાને અંજામ આપવાનું આગોતરુ આયોજન કરી તેઓએ ખેલ પાડયો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ પોલીસ સકંજામાં આવે ત્યારે તથ્ય બહાર આવે તેમ છે.
