ભરૂચ જિલ્લામાં ઓગષ્ટ અને જુલાઈ માસમાં ગેરકાયદેસર બિનઅધિકૃત ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો નોંધાયા જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ભરૂચ જીલ્લાના અનેક સ્થળોએ દરોડા
ભરૂચ
સરકારની તિજોરીને નાણાંકીય આવક કરવામાં ભરૂચ જિલ્લાએ વિશેષ યોગદાન આપ્યું છે. સરકારની તિજોરીમાં પાછલા બે મહિના એટલે કે ઓગષ્ટ અને જુલાઈ ( તા.૧૮ મી ઓગસ્ટ ૨૦૨૫ અંતિત) મહિના સુધીમાં અંદાજિત રૂ.૯૮.૭૨/- લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી હતી. ભરૂચ જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જીલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે અવાર-નવાર ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના ફીલ્ડ સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવે છે. તેમજ સંબધિત તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારઓ પણ કામગીરી કરતા હોય છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ઘ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આમ, ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પેક્શન, વગેરે નિયમોનુસારની કાર્યવાહી હાથ આવી રહી છે. તેમ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
