ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે.શહેરના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી. પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.વાલીઓએ આપેલી માહિતી અનુસાર, સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે. આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે, “રાવળીયાવાડ વિસ્તારમાં મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના છે. જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે, જેના કારણે તેમના ભણતર પર ખરાબ અસર પડશે.”વાલીઓએ આ નિર્ણયને અચાનક અને અનાયાસ પગલું ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે. કેટલાક વાલીઓએ જણાવ્યું કે તાજેતરમાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા જેવું છે.હાલમાં વિદ્યાર્થીઓ શાળા ના ખુલતા ભણતરથી વંચિત છે અને શાળાના તાળા ખૂલશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી. નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
ભરૂચમાં પ્રાથમિક શાળાને તાળા, 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર
Advertisement
