છઠ પૂજા માટે બનાવાયેલ કુંડમાં ડૂબી જતાં મોત નિપજ્યું
અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારના મહેન્દ્રનગરમાં આજે હૃદયવિદારક ઘટના બની હતી. બિહારથી મામાના ઘરે આવેલા 4 વર્ષીય વિનીતકુમાર રાજેશસિંહનું પાણીમાં ઘરકાવ થતાં મોત નીપજ્યું હતું. બાળક મિત્રો સાથે મંદિરના પ્રાંગણમાં રમતો હતો. છઠ પૂજા માટે બનાવવામાં આવેલા કુંડમાં વરસાદી પાણી ભરાયેલા હતા. રમતા રમતા વિનીતકુમાર કુંડમાં ઘૂસી ગયો અને ડૂબી ગયો. તેની સાથે બીજું એક બાળક પણ પાણીમાં ઉતરી ગયું, પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો.પરિવારે બાળકને લગભગ અડધો કલાક શોધખોળ કર્યા બાદ પાણી ભરાયેલા કુંડમાંથી બહાર કાઢ્યો હતો. તરત જ બાળકને સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.ઘટના બાદ મામા બાળકની ડેડબોડી લઈને રોડ પર બેસી ગયા અને ન્યાયની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.સ્થાનિકોએ ગામ પંચાયત પર આક્ષેપ કર્યા હતા કે પ્રિ-મોન્સૂન કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના બની છે. પોલીસે પરિસ્થિતિ શાંત કરી અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.
