“ઓપરેશન સિંદૂર” થીમ પર આધારિત ગણપતિ મહોત્સવ, સૈનિકોના શૌર્યને અર્પણ શ્રદ્ધાંજલિ
ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ વર્ષે “ઓપરેશન સિંદૂર” થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે. મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યો છે. થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દૃશ્યાવલિ તૈયાર કરવામાં આવી છે, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ-રાત તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે તે સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે.વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની દરેકે પ્રશંસા કરી છે. ભક્તો ગણેશજીના દર્શન સાથે સાથે દેશપ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે. ગણેશોત્સવના પવિત્ર અવસરે આવી દેશભક્તિથી સરોબર થીમ લોકોમાં અનોખો ઉન્માદ જગાવી રહી છે.
