ભરૂચ.
ભરૂચ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મિણા, ડીવાયએસપી સી. કે. પટેલ, એજ્યુકેટીવ હનીફ બલૂચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જિતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લામાં 30 થી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા માટે કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ-અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે 100, ફાયર માટે 101, એમ્બ્યુલન્સ માટે 108, મહિલા હેલ્પલાઇન માટે 181, ટ્રાફિક હેલ્પલાઇન માટે 1930 જેવા અલગ-અલગ નંબર યાદ રાખવા પડતા હતા. ઘણી વાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય મળી શકતી નહોતી.આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવતી નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તુરંત ઉપલબ્ધ થઈ શકશે.આ પ્રોજેક્ટના અમલીકરણથી અકસ્માત, આપત્તિ કે કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક સહાયતા મળશે. સાથે જ તંત્રની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
