ખરાબ સોબતને કારણે ઘરખર્ચ નહીં આપતાં ઝઘડો થયો હતો
ભરૂચ.
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે અલીફપાર્ક ખાતે રહેતી મુમતાજબાનુંના વર્ષ 2005માં ફિરોજ ઇબ્રાહિમ નગીયા સાથે લગ્ન થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમને ત્રણ પુત્રી એક પુત્રનું સુખ મળ્યું હતું. તેનો પતિ રીક્ષા ચલાવતો હતો. જોકે, તેની સોબત સારી ન હોવાને કારણે તે ઘરમાં ખર્ચ માટે રૂપિયા આપતો ન હતો. તેમજ તેને અપશબ્દો ઉચ્ચારી તકરાર કરી પિયરેથી રૂપિયા લઇ આવવા ધમકીઓ આપતો હતો. જેથી તે પિયરે જતી પણ ત્યાંથી સ્થિતી પણ સારી ન હોઇ તે એમ જ પાછી આવતી અને વ્યવાહિક જીવન ટકાવવા બધુ સહન કરતી હતી. દરમિયાનમાં ગત 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવેક વાગ્યે તેણે તેના પતિ ફિરોજ પાસે ઘરખર્ચ માટે રૂપિયાની માંગણી કરતાં તેણે તેને અપશબ્દો ઉચ્ચારી માર મારી તું તારા ઘરે જતી રહે તેમ કહેતાં તેણે પ્રતિકાર કરતાં ફિરોજે ગુસ્સામાં આવી જઇ તેને મુસ્લીમ શરિયત મુજબ ત્રણવાર તલાક-તલાક-તલાક કહીં તેને સ્થળ પર જ છૂટાછેડા આપી દીધા કહીં તેનેે ઘરમાંથી નિકળી જવા ધમકાવી હતી. ઘટનાને પગલે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
