પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંકલનની બેઠક બોલાવ્યા વિના જ મેન્ડેડ આપ્યાનો આક્ષેપ
તેમની પક્ષને નહીં પણ પક્ષને તેમની જરૂર હોય તેવા અરૂણસિંહ રણાના નિવેદનોથી તર્કવિતર્ક
। ભરૂચ ।
ભરૂચ-નર્મદાની દૂધધારા ડેરીની ચૂટણીને હવે ગતણતરીના દિવસો બાકી છે. ત્યારે અરૂણસિંહ રણાની પેનલના ભરૂચના ૬ અને નર્મદા જિલ્લાના ૩ ઉમેદવારોને ભાજપે પક્ષવિરોધી કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરી દેતાં રાજકિય માહોલ ગરમાયો છે. જોકે, ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ પણ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ સસ્પેન્શનથી અમને કોઈ ફેર નથી પડતો અમે ચૂંટણી લડીશું અને જીતીશું તેમ કહીને જાણે પક્ષને પડકાર ફેક્યો હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ દૂધધારા ડેરીનું રાજકારણ જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમતેમ રસપ્રદ બની રહ્યું છે. દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલની સામે અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઉતારતાં રાજકિય ગરમાવો આવતાં મામલો મોવડી મંડળ સુધી ગયો હતો. આખરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કુલ ૧૫ બેઠક પૈકી ૧૨ ધનશ્યામ પટેલ અને અરૂણસિંહના ૩ ઉમેદવારોને ભાજપના મેન્ડેડ આપી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બાદ પણ અરૂણસિંહ રણા જાણે પક્ષ સામે બળવો કરવાના મુડમાં હોય તેમ અમે મેન્ડેડ વિના જ અમારી પેનલ પર ચૂંટણી લડીશુ કહી તેમના અલગથી ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં. જેના પગલે સમગ્ર બાબત હવે પક્ષ પર આવતાં પક્ષના મેન્ડેડના વિરોધમાં જઈને ઉમેદવારી કરનારાઓ સામે સસ્પેન્શનનો કોરડો વિંઝી ભાજપના અને અરૂણસિંહની પેનલમાંથી ઉભા રહેલા ભરૂચ જિલ્લાના ૬ અને નર્મદા જિલ્લાના ૩ એમ કુલ ૯ ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરી પક્ષે પોતાનું સ્ટેન્ડ જાહેર કરી દીધું છે. ત્યારે સસ્પેન્શન બાદ પણ અરૂણસિંહ રણાએ જાણે કે તેમને પક્ષની નહીં પરંતુ પક્ષને તેમની જરૂર હોય તેમ અમને કોઈ ફેર પડવાનો નથી તેવું નિવેદન આપ્યુ છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ મામલે કોઈ સંકલનની બેઠક બોલાવી નથી અને સિદ્ધાંતોના વિરૂધ્ધ જઈને નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પક્ષ સામે કટાક્ષભર્યા નિવેદનો આપતાં દૂધધારા ડેરી સિવાય પણ આગામી દિવસોમાં ભાજપનું આંતરિક જૂથબંધીનું રાજકારણ હવે શું રંગ લાવશે તે તરફ લોકોની મીટ મંડાઈ છે.
